બેંગલુરુ: કર્ણાટકમાં સરકારી બસ સેવાની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે રાજ્યના પરિવહન મંત્રી બાયરાથી સુરેશે (Byrathi Suresh) સામાન્ય મુસાફરનો વેશ ધારણ કરી બીએમટીસી (BMTC) બસમાં મુસાફરી કરી હતી. પરંતુ આ દરમિયાન તેમને એવો અનુભવ થયો કે જેની કદાચ તેમણે પણ કલ્પના નહોતી કરી હોય. બસમાં ચડ્યા બાદ કંડક્ટરે તેમને ટિકિટ માટે ચોક્કસ ભાડું (છૂટા પૈસા) માંગ્યા અને જ્યારે મંત્રી પાસે છૂટા પૈસા ન હતા ત્યારે કંડક્ટરે તેમને બસમાંથી નીચે ઉતરી જવા સુધી કહી દીધું. આ સમગ્ર ઘટનાએ જાહેર પરિવહન વ્યવસ્થાની વાસ્તવિક સમસ્યાઓને ઉજાગર કરી દીધી છે.
સામાન્ય મુસાફર બની બસમાં ચડ્યા, પછી સામે આવી વાસ્તવિક સ્થિતિ
મંત્રી બાયરાથી સુરેશે કોઈપણ પ્રકારના સરકારી કાફલા કે ઓળખ વિના માસ્ક પહેરી સામાન્ય મુસાફર તરીકે બેંગલુરુની BMTC બસમાં મુસાફરી શરૂ કરી હતી. તેમનો હેતુ અધિકારીઓના અહેવાલો પર આધાર રાખવાને બદલે સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓનો જાતે અનુભવ કરવાનો હતો. મુસાફરી દરમિયાન તેમને પણ રોજિંદા મુસાફરો જેવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો, જ્યારે કંડક્ટરે ચોક્કસ ભાડું ન હોવાથી ટિકિટ આપવા ઇનકાર કર્યો અને બસમાંથી નીચે ઉતરવાનું કહ્યું.
બસ સ્ટોપ છોડતા ડ્રાઇવર-કંડક્ટર સામે તાત્કાલિક કાર્યવાહી
આચાનક નિરીક્ષણ દરમિયાન મંત્રીએ બીજી એક ગંભીર બેદરકારી પણ નોંધાવી હતી. એક મુસાફરે બસ રોકવા માટે સંકેત આપ્યો હોવા છતાં ડ્રાઇવર અને કંડક્ટરે નિર્ધારિત બસ સ્ટોપ પર બસ ઉભી રાખી નહોતી. મુસાફરોની સુરક્ષા અને સેવા પ્રત્યેની આ બેદરકારીને ગંભીરતાથી લઈને મંત્રીએ સંબંધિત બસના ડ્રાઇવર અને કંડક્ટરને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
મુસાફરોની ફરિયાદો સાંભળી, સેવાઓ સુધારવાનો સંદેશ
નિરીક્ષણ દરમિયાન મંત્રીએ બસમાં મુસાફરી કરતા અન્ય મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી. મુસાફરોએ સમયસર બસ ન મળવી, ભીડ, છૂટા પૈસાની સમસ્યા અને કેટલીક રૂટ પર પૂરતી બસોની અછત જેવી અનેક ફરિયાદો રજૂ કરી હતી. મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે જાહેર પરિવહન સેવાઓમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને મુસાફરોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.
સરકારનો હેતુ – મેદાન પરની વાસ્તવિકતા જાણવી
કર્ણાટક સરકાર છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિભાગોમાં અચાનક નિરીક્ષણો કરીને મેદાન પરની વાસ્તવિક સ્થિતિ જાણવા પર ભાર મૂકી રહી છે. મંત્રીઓ દ્વારા સીધા સ્થળ પર જઈને કામગીરીનું મૂલ્યાંકન કરવાની આ પદ્ધતિથી તંત્રની ખામીઓ ઝડપથી સામે આવે છે અને જવાબદારી નક્કી કરવામાં સરળતા રહે છે. આ ઘટનાએ પણ બતાવ્યું કે સામાન્ય મુસાફરો રોજબરોજ કઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે અને જાહેર પરિવહન વ્યવસ્થામાં હજુ સુધારાની મોટી જરૂરિયાત છે.
આ પણ વાંચો: "રામ-મંદિર હજુ મંદિર નથી, RSS અને BJPની ઓફિસ છે" : શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું નિવેદન, દાનચોરી કેસની SIT પર પણ ઉઠાવ્યા સવાલ
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
મંત્રીના આ સરપ્રાઇઝ નિરીક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. અનેક લોકોએ મંત્રીના આ અભિગમને આવકાર્યો છે અને જણાવ્યું છે કે અધિકારીઓ અને મંત્રીઓ મેદાન પર જઈને વાસ્તવિક સ્થિતિ જાણે તો જ લોકોની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ આવી શકે. બીજી તરફ, કેટલાક લોકોએ જાહેર પરિવહન વ્યવસ્થામાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની પણ માંગ કરી છે.





