Siddaramaiah: કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં મુખ્યમંત્રી (CM) બદલાવાની અટકળો પર વિરામ મુકાઈ ગયો છે. કર્ણાટકમાં સત્તા પરિવર્તનની ચર્ચાઓ છેલ્લા કેટલાક દિવસોથી જોરશોરથી ચાલી રહી હતી. દિલ્હીમાં હાઈ-વોલ્ટેજ બેઠકો પણ થઈ, પરંતુ આ બેઠકોનો એજન્ડા કંઈક અલગ જ હતો. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારની રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથેની બેઠક બાદ કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલા અને કે.સી. વેણુગોપાલે જણાવ્યું કે, આ મેરેથોન મીટિંગ માત્ર રાજ્યસભા ચૂંટણી પર ચર્ચા કરવા માટે થઈ હતી.
મીડિયા સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસ નેતાઓએ કર્ણાટક મંત્રીમંડળમાં ફેરફાર અંગે એક પણ શબ્દ કહ્યો નહોતો. બેઠક બાદ કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે કહ્યું, "આજે રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે વિગતવાર ચર્ચા થઈ હતી. રાજ્યસભા અને એમએલસી (MLC) ચૂંટણી અંગે વાતચીત થઈ છે. બાકીની અટકળોમાં કોઈ સત્ય નથી." સિદ્ધારમૈયાએ પણ જણાવ્યું કે કેબિનેટ વિસ્તરણનો એજન્ડા ચર્ચામાં આવ્યો નહોતો. આ બેઠક બાદ સીએમ સિદ્ધારમૈયા બેંગલુરુ જવા રવાના થઈ ગયા છે.
હીટવેવમાંથી મળશે મોટી રાહત : ચોમાસું હજી દૂર, પરંતુ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
બેઠક બાદ કે.સી. વેણુગોપાલે શું કહ્યું?
ઇન્દિરા ભવનમાં કર્ણાટકના કોંગ્રેસ નેતાઓની કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે મળેલી બેઠક અંગે માહિતી આપતાં કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલે કહ્યું આજે અમારી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે એક વિસ્તૃત બેઠક યોજાઈ હતી. આ ચર્ચામાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર, કર્ણાટકના પ્રભારી મહાસચિવ અને હું પોતે સામેલ હતો. આજની આખી ચર્ચા માત્ર આગામી રાજ્યસભા ચૂંટણી અને કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણીઓ પર જ કેન્દ્રિત હતી. તમે લોકો જે પણ અટકળો લગાવી રહ્યા છો, તે માત્ર અફવાઓ જ છે. તેમાં કોઈ સત્ય નથી."
રાજ્યસભા અને વિધાન પરિષદની બેઠકો અંગે થઈ ચર્ચા
તેમણે આગળ ઉમેર્યું કે, આજે અમે કર્ણાટકની રાજ્યસભા બેઠકો અને વિધાન પરિષદની બેઠકો વિશે ચર્ચા કરી છે. કર્ણાટકની રાજ્યસભા અને વિધાન પરિષદની બેઠકોના ઉમેદવારોની જાહેરાત છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડ જેવા અન્ય રાજ્યોની બેઠકોની સાથે જ કરવામાં આવશે. બસ આટલું જ છે. આજે અમે આ જ નિર્ણય લીધો છે; આજે આ સિવાય અન્ય કોઈ વિષય પર ચર્ચા થઈ નથી.
ડેમોગ્રાફી ચેન્જ પર મોદી સરકાર લાવી 'ગેમ ચેન્જર' પ્લાન : હવે દેશમાં એક પણ ઘૂસણખોર બચી શકશે નહીં
છેલ્લા કેટલાક દિવસોથી ફરી તેજ થઈ હતી નેતૃત્વ પરિવર્તનની ચર્ચા
નોંધનીય છે કે કર્ણાટક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો છેલ્લા કેટલાક દિવસોથી ફરી તેજ થઈ હતી. એવી ચર્ચા હતી કે પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર પદ છોડીને ડી.કે. શિવકુમાર માટે રસ્તો સાફ કરવાનું દબાણ વધારી રહ્યા છે. સૂત્રોનું એમ પણ કહેવું હતું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આ સમગ્ર મંથનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે અને તેઓ નેતૃત્વ બદલવાના પક્ષમાં છે.
મંગળવારે કોંગ્રેસ મુખ્યાલયમાં લાંબા સમય સુધી ચાલેલી બેઠકોએ રાજકીય ગરમાવો વધુ વધારી દીધો હતો. પહેલા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, કે.સી. વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાએ સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર સાથે સંયુક્ત બેઠક કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી અને ખડગેએ બંને નેતાઓ સાથે અલગ-અલગ વન-ટુ-વન મુલાકાત કરી હતી. પરંતુ આ મુલાકાતો પછી કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ કરી દીધું કે આ બેઠક માત્ર રાજ્યસભા અને એમએલસી ચૂંટણી માટે જ યોજવામાં આવી હતી.
ટ્રેનમાં ભૂલથી પણ ન કરો આ 6 કામ! : રેલવેના કડક નિયમોનું ઉલ્લંઘન પડશે મોંઘું, જાણો નિયમો





