Kangana Ranaut: અભિનેત્રીથી રાજકારણી બનેલી કંગના રનૌતે લાંબા સમયથી ચાલી રહેલી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ અભિનેતા ચિરાગ પાસવાન સાથે કોઈ રોમેન્ટિક સંબંધ ન હોવાનું સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે બંને વચ્ચે માત્ર મિત્રતાનો સંબંધ છે. ANIને આપેલા તાજેતરના ઇન્ટરવ્યુમાં કંગનાએ આ અફવાઓને સીધી રીતે નકારી કાઢી.
તેમણે કહ્યું, "ના, ના, ચિરાગ ફક્ત એક મિત્ર છે. જ્યારે પણ હું તેને જોઉં છું, ત્યારે મને ફક્ત મૈત્રીપૂર્ણ લાગણી થાય છે. અમારી વચ્ચે કોઈ રોમાન્સ ચાલી રહ્યો નથી. અમે 10 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ. જો અમે રોમેન્ટિક રીતે સંકળાયેલા હોત, તો અત્યાર સુધીમાં અમારા બાળકો હોત."તેમણે વધુમાં ઉમેર્યું, "જો હું રોમાન્સ કરવા માંગતી હોત તો તે ઘણા સમય પહેલાં થઈ ગયું હોત, પરંતુ એવું કંઈ થઈ રહ્યું નથી. અમારો સ્વભાવ ખૂબ જ મૈત્રીપૂર્ણ છે. તે ફિલ્મ ઉદ્યોગ સાથે પણ સંકળાયેલો છે, તેથી મને તેની આસપાસ રહેવાનો આનંદ આવે છે."
2011ની ફિલ્મથી શરૂ થયેલી મિત્રતા
કંગના અને ચિરાગ વચ્ચેનો સંબંધ 2011ની ફિલ્મ "મિલે ના મિલે હમ" થી જોડાયેલો છે. આ ફિલ્મમાં કંગના મુખ્ય અભિનેત્રી હતી અને ચિરાગની આ પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. ત્યારબાદ ચિરાગે અભિનય છોડીને રાજકારણ પસંદ કર્યું, જ્યારે કંગના હજુ પણ ફિલ્મ અને રાજકારણ બંનેમાં સક્રિય છે.
આ પણ વાંચો: 'Hera Pheri 3' ફરી અટકી! : અક્ષય કુમારના ખુલાસાથી ચાહકો નિરાશ—જાણો શું છે કારણ
કંગનાનું વર્ક ફ્રન્ટ
કામની વાત કરીએ તો, કંગના છેલ્લે "ઇમર્જન્સી" ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન પણ કંગનાએ જ કર્યું હતું. જોકે, રિલીઝ પહેલાં જ વિવાદોમાં ફસાયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.કંગનાના આ નિવેદન પછી અફવાઓનો અંત આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેમના વ્યંગાત્મક અને સ્પષ્ટ જવાબને લઈને ચર્ચાઓ ચાલુ છે.





