શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે અડાલજ ખાતે ભવ્ય રીતે ‘સમૈયો’ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૈયો ઉત્સવનું આયોજન કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય તથા કાલુપુર સ્વામિ નારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત આયોજિત આ ઉત્સવે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ સર્જ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા
'ગુજરાત ભગવાન સ્વામિનારાયણની તપની ભૂમિ છે'
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ભગવાન સ્વામિનારાયણની તપની ભૂમિ છે. ભગવાન સ્વામિનારાયણે સમાજમાં અનુશાસન લાવવાનું મહાન કાર્ય કર્યું છે અને તેમના ઉપદેશો આજે પણ એટલાં જ પ્રાસંગિક છે. તેમણે કહ્યું કે શિક્ષાપત્રી સર્વજન હિત માટે રચાયેલી ગ્રંથ છે અને તેમાં આપવામાં આવેલા વચનો આજના યુગમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
'શિક્ષાપત્રીમાં સેવા, સંયમ અને કરુણાનો બોધ આપવામાં આવ્યો છે'
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષાપત્રીમાં સેવા, સંયમ અને કરુણાનો બોધ આપવામાં આવ્યો છે, જે સમાજને યોગ્ય દિશામાં આગળ વધારવામાં માર્ગદર્શન આપે છે. શિક્ષાપત્રી માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ માર્ગદર્શિકા છે તેમ તેમણે જણાવ્યું. સમાજમાં શિસ્ત, નૈતિકતા અને માનવીય મૂલ્યો સ્થાપિત કરવા માટે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો આજે પણ પ્રેરણારૂપ છે.
શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાનો પ્રસંગ
અડાલજ ખાતે યોજાયેલા આ સમૈયો ઉત્સવમાં મોટી સંખ્યામાં સંતો, હરિભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના આ ઐતિહાસિક પ્રસંગે ભક્તોએ ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ઉત્સાહ, શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સંપન્ન થયો હતો.





















