Natural farming: એક પિતાના કેન્સરથી થયેલા દુખદ અવસાનએ પુત્રના જીવનનો માર્ગ જ બદલી નાખ્યો. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલે માત્ર પોતાની ખેતી પદ્ધતિ જ નહીં, પરંતુ ખેતી વિશેનો દ્રષ્ટિકોણ પણ સંપૂર્ણ બદલ્યો. રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશકો છોડીને તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી અને આજે તેઓ દેશભરના ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામમાં રહેતા કલ્પેશ પટેલ આજે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે એક ઓળખાયેલું નામ બની ગયા છે. તેઓ વ્યવસાયે સુરતની એક ફેક્ટરીમાં કેમિકલ ઓપરેટર તરીકે નોકરી કરે છે, પરંતુ ખેતી પ્રત્યેનો તેમનો લગાવ અને જીવનમાં બનેલી એક કરુણ ઘટનાએ તેમને સંપૂર્ણપણે અલગ દિશામાં દોરી ગયા.
કલ્પેશ પટેલના પિતા રમણભાઈ પટેલ પરંપરાગત રીતે ખેતી કરતા હતા અને ખેતરમાં મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હતા. સમય જતાં તેમને કેન્સર થયું અને અંતે તેમનું અવસાન થયું. આ ઘટના કલ્પેશ પટેલ માટે માત્ર વ્યક્તિગત દુઃખ ન રહી, પરંતુ જીવન બદલનાર સંદેશ બની. તેમણે નક્કી કર્યું કે હવે પછી પોતાની જમીનમાં કોઈપણ પ્રકારનું કેમિકલ ખાતર કે ઝેરી દવાઓનો ઉપયોગ નહીં કરે.
વર્ષ 2019થી તેમણે પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો. ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવતી તાલીમમાં ભાગ લીધો, જીવામૃત અને કુદરતી ખાતર બનાવવાની પદ્ધતિઓ શીખી અને પોતાના ખેતરમાં તેનો અમલ શરૂ કર્યો. શરૂઆતમાં અનેક પડકારો આવ્યા, પરંતુ ધીમે ધીમે જમીનની ઉપજશક્તિ સુધરવા લાગી અને ઉત્પાદન પણ વધ્યું.
50થી વધુ જાતની કેળની ખેતીથી બન્યા ચર્ચાનો વિષય
કલ્પેશ પટેલને વારસામાં આશરે આઠ વીઘા જમીન મળી હતી. તેમાંમાંથી સાડા ત્રણ વીઘા જમીનમાં તેમણે વિવિધ જાતની કેળની ખેતી શરૂ કરી. આજે તેમની વાડીમાં 50થી વધુ જાતની કેળ ઉગાડવામાં આવે છે. તેમાં પુવન, આધાપુરી, રસથલી, લાલ કેળ, બ્લુ જાવા, બસરાઈ, મહાલક્ષ્મી અને એલચી કેળા જેવી વિશિષ્ટ જાતોનો સમાવેશ થાય છે.
તેમની ખેતીની ખાસિયત માત્ર વિવિધતા પૂરતી સીમિત નથી. ઉત્પાદન ક્ષમતા મામલે પણ તેમણે અનોખો રેકોર્ડ બનાવ્યો છે. સામાન્ય રીતે કેળની એક લૂમનું વજન 20થી 30 કિલો જેટલું હોય છે, પરંતુ વર્ષ 2025 દરમિયાન તેમની વાડીમાં એક લૂમનું વજન 73 કિલો સુધી પહોંચ્યું હતું. સરેરાશ રીતે પણ તેમની વાડીમાં કેળની લૂમ 30 કિલોથી વધુ વજન ધરાવે છે.
આ અનોખી સિદ્ધિને કારણે આજે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના વિવિધ રાજ્યોમાંથી ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો તેમની વાડીની મુલાકાત લેવા સરસ ગામ પહોંચે છે. પ્રાકૃતિક ખેતી દ્વારા પણ ઉત્તમ ઉત્પાદન મેળવી શકાય છે તેનો જીવંત દાખલો કલ્પેશ પટેલ બની ગયા છે.
પ્રાકૃતિક ખેતીથી ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો
કલ્પેશ પટેલ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી તેમના ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અગાઉ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પાછળ પ્રતિ વીઘા 15થી 20 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થતો હતો, જે હવે લગભગ બંધ થઈ ગયો છે.
જમીનની ગુણવત્તા સુધરતા પાકનું ઉત્પાદન પણ વધ્યું છે. હાલ તેઓ દર વર્ષે માત્ર સાડા ત્રણ વીઘાની કેળની ખેતીમાંથી અંદાજે 10થી 12 લાખ રૂપિયાની આવક મેળવે છે. આ સાથે તેઓ “મારો માલ અને મારો ભાવ” ના સિદ્ધાંત પર કામ કરે છે, એટલે કે પોતાના ઉત્પાદનનું વેચાણ સીધું ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે.
કલ્પેશ પટેલે “જંગલ મોડેલ” ખેતીનો પણ પ્રયોગ કર્યો છે. તેમાં વિવિધ પાકો અને છોડનું કુદરતી સંતુલન જાળવીને ખેતી કરવામાં આવે છે, જેથી જમીન વધુ ઉપજાઉ બને અને પર્યાવરણને નુકસાન ન થાય.
વેલ્યૂ એડિશનથી વધારી આવક
પ્રાકૃતિક ખેતીમાં માત્ર ઉત્પાદન જ નહીં પરંતુ મૂલ્યવર્ધન પણ મહત્વપૂર્ણ છે. કલ્પેશ પટેલ આ બાબતને સારી રીતે સમજે છે. જો કાચા કેળા વેચાયા વગર રહી જાય તો તેઓ તેમાંથી વેફર, કેળ પાવડર અને અન્ય ઉત્પાદનો બનાવીને વેચાણ કરે છે.
ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ શહેરોમાં પ્રાકૃતિક કૃષિ બજારો શરૂ કર્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આવા બજારમાં કલ્પેશ પટેલ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરે છે. સીધા ગ્રાહકો સુધી પહોંચતા હોવાથી તેમને યોગ્ય ભાવ પણ મળે છે.
તેમની ખેતીની ચર્ચા સોશિયલ મીડિયા અને કૃષિ વર્તુળોમાં વધી જતા હવે તેમને અન્ય રાજ્યોમાંથી પણ ઓર્ડર મળવા લાગ્યા છે. તેઓ પાર્સલ મારફતે દેશના વિવિધ ભાગોમાં કેળા અને અન્ય ઉત્પાદનો મોકલે છે.
દેશભરમાં પ્રેરણાસ્ત્રોત બન્યા
કલ્પેશ પટેલની સફળતાએ કેન્દ્ર અને રાજ્ય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે. કેન્દ્રિય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ એ પણ તેમની સાથે વાતચીત કરી હતી અને તેમની સફળતાની કહાની સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
દેશના PM નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની અપીલ કરી રહ્યા છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વ હેઠળ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગામેગામ ફરી ખેડૂતોને કુદરતી ખેતી તરફ વાળવા પ્રયાસ કરી રહ્યા છે.
કલ્પેશ પટેલની કહાની એ દર્શાવે છે કે સંકલ્પ, યોગ્ય દિશા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ હોય તો ખેતી માત્ર જીવનનિર્વાહનું સાધન નહીં, પરંતુ સમાજ માટે પ્રેરણા પણ બની શકે છે.
આ પણ વાંચો: એક એકરમાં લાખોની આવક! : આ ફળ નસીબ બદલી નાખશે ખેડૂતોનું ભાગ્ય! જાણો ખેતીનું સંપૂર્ણ ગણિત
કલ્પેશ પટેલની કહાનીનું મહત્વ
પ્રાકૃતિક ખેતી તરફ વધતા વલણનું જીવંત ઉદાહરણ
ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની સફળતા
ખેડૂતો માટે વેલ્યૂ એડિશન અને સીધા વેચાણનું મોડેલ
કેમિકલ ખેતીના આરોગ્ય પર થતા પ્રભાવ અંગે ચેતવણીરૂપ સંદેશ
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની વધી રહેલી સ્વીકાર્યતા






