મે મહિનાના અંત સાથે હવે જૂન 2026ની શરૂઆત થવા જઈ રહી છે. જો તમે આગામી મહિને બેંક સંબંધિત કોઈ મહત્વનું કામ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા હોલિડે કેલેન્ડર મુજબ જૂન મહિનામાં દેશભરના બેંકો કુલ મળીને 11થી 13 દિવસ સુધી બંધ રહી શકે છે. જોકે તમામ રજાઓ સમગ્ર દેશમાં લાગુ પડતી નથી અને કેટલીક રજાઓ રાજ્યવાર સ્થાનિક તહેવારો તથા પ્રસંગોને આધારે અલગ-અલગ છે. તેથી ગ્રાહકો માટે પહેલેથી જ રજાઓની માહિતી મેળવી લેવી જરૂરી બની જાય છે.
જૂનમાં કેટલી રહેશે બેંક રજાઓ?
RBIના હોલિડે કેલેન્ડર મુજબ જૂન 2026 દરમિયાન નિયમિત રવિવાર અને બીજા-ચોથા શનિવારની રજાઓ ઉપરાંત વિવિધ પ્રાદેશિક અને ધાર્મિક તહેવારોને કારણે બેંકોમાં વધારાની રજાઓ રહેશે. કેટલાક રાજ્યોમાં બેંકો 11 દિવસ બંધ રહેશે તો કેટલાક વિસ્તારોમાં આ આંકડો 13 દિવસ સુધી પહોંચી શકે છે.
આ કારણે ચેક ક્લિયરન્સ, શાખા મુલાકાત, ડિમાન્ડ ડ્રાફ્ટ, KYC અપડેટ અથવા અન્ય ઓફલાઇન બેંકિંગ સેવાઓ માટે ગ્રાહકોએ અગાઉથી આયોજન કરી લેવું વધુ યોગ્ય રહેશે.
નિયમિત સાપ્તાહિક રજાઓની યાદી
જૂન 2026 દરમિયાન બેંકો નીચે દર્શાવેલ તારીખોએ નિયમિત રીતે બંધ રહેશે:
7 જૂન – રવિવાર
13 જૂન – બીજો શનિવાર
14 જૂન – રવિવાર
21 જૂન – રવિવાર
27 જૂન – ચોથો શનિવાર
28 જૂન – રવિવાર
આ છ દિવસની રજાઓ સમગ્ર દેશમાં લાગુ પડશે અને તમામ બેંક શાખાઓ બંધ રહેશે.
રાજ્યવાર વધારાની રજાઓ
નિયમિત રજાઓ સિવાય વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારો અને વિશેષ પ્રસંગોને કારણે પણ બેંકિંગ સેવાઓ પ્રભાવિત થશે.
15 જૂન, સોમવારના રોજ રાજા સંક્રાંતિ અને YMA Day નિમિત્તે માત્ર ઓડિશા અને મિઝોરમમાં બેંકો બંધ રહેશે. આ રજા સ્થાનિક સ્તરે માન્ય હોવાથી અન્ય રાજ્યોમાં બેંકિંગ કામગીરી સામાન્ય રહેશે.
17 જૂન, બુધવારના રોજ મહારાણા પ્રતિપ જયંતિ નિમિત્તે હરિયાણા, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં બેંકોમાં રજા રહેશે. આ રાજ્યોમાં ગ્રાહકોને બેંકિંગ કામ માટે અગાઉથી તૈયારી રાખવી પડશે.
18 જૂન, ગુરુવારના રોજ ગુરુ અર્જન દેવના શહીદી દિવસ નિમિત્તે માત્ર પંજાબમાં બેંકો બંધ રહેશે. શીખ સમુદાય માટે આ દિવસ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે.
25 જૂન, ગુરુવારના રોજ મુહર્રમના અવસરે આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો અને વિજયવાડામાં બેંકોમાં રજા જાહેર કરવામાં આવી છે.
26 જૂન, શુક્રવારના રોજ મુહર્રમ (આશૂરા) નિમિત્તે દેશના મોટા ભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, ભોપાલ અને પટણા સહિત અનેક શહેરોમાં બેંકિંગ સેવાઓ શાખા સ્તરે ઉપલબ્ધ નહીં હોય.
29 જૂન, સોમવારના રોજ સંત ગુરુ કબીર જયંતિ નિમિત્તે હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં બેંકો બંધ રહેશે.
30 જૂન, મંગળવારના રોજ Remna Ni તહેવારને કારણે મિઝોરમમાં બેંકોમાં રજા રહેશે.
બેંક બંધ હોવા છતાં ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે
બેંક રજાઓને કારણે શાખાઓ બંધ રહેશે, પરંતુ ગ્રાહકોને દૈનિક નાણાકીય વ્યવહારો અંગે ચિંતા કરવાની જરૂર નથી. મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ, UPI, IMPS, NEFT અને ATM જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે.
ગ્રાહકો 24 કલાક પૈસા ટ્રાન્સફર, બિલ પેમેન્ટ, મોબાઇલ રિચાર્જ, ખાતાની વિગતો તપાસવા અને ATM મારફતે રોકડ ઉપાડવા જેવી સેવાઓનો ઉપયોગ કરી શકશે. જોકે ચેક ક્લિયરન્સ, પાસબુક અપડેશન, લોન સંબંધિત દસ્તાવેજી પ્રક્રિયા અને શાખા મુલાકાત જરૂરી હોય તેવી સેવાઓ રજાના દિવસોમાં ઉપલબ્ધ નહીં રહે.





