અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સંગીતપ્રેમીઓ માટે એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 'વ્હાલમ આવો ને' અને 'ચાંદ ને કહો' જેવા અનેક સુપરહિટ ગીતો આપનાર લોકપ્રિય ગાયક જિગરદાન ગઢવી (જીગરા) એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતી મ્યુઝિક પ્રોજેક્ટ્સમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિ જાહેર કરી છે. 10 વર્ષ સુધી ગુજરાતી સંગીત ક્ષેત્રે રાજ કર્યા બાદ જીગરાએ લીધેલા આ નિર્ણયથી ચાહકો અને કલાકારોમાં આશ્ચર્ય સાથે નિરાશા જોવા મળી રહી છે.
રામ નવમીના પવિત્ર અવસરે જીગરાએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરી આ જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હવે પછી તેઓ કોઈપણ ગુજરાતી ફિલ્મ માટે પ્લેબેક ગાયન નહીં કરે કે કોઈ સ્થાનિક મ્યુઝિક લેબલ કે યુટ્યુબ ચેનલ સાથે કામ નહીં કરે. આ નિર્ણય પાછળ સર્જનાત્મક સ્વતંત્રતા અને કોર્પોરેટ સિસ્ટમના લાંબા ગાળાના કરારો જવાબદાર હોવાનું મનાય છે.
નિવૃત્તિ પાછળનું કારણ: સર્જનાત્મક સ્વતંત્રતા અને બોલિવૂડ કનેક્શન
જિગરદાન ગઢવીએ આ નિર્ણય પાછળ કોઈ એક વ્યક્તિ કે સંસ્થાને જવાબદાર નથી ઠેરવી, પરંતુ તેમણે સિસ્ટમ સામે આડકતરો ઈશારો કર્યો છે. તેમણે ખુલાસો કર્યો કે હિન્દી ફિલ્મો અને મોટા પ્રોજેક્ટ્સ માટે તક મળી હતી, પરંતુ ત્યાં બે દાયકા (20 વર્ષ) સુધી લંબાતા કરારો અને કલાની માલિકી ગુમાવવાની શરતો તેમને મંજૂર નહોતી. કોર્પોરેટ સિસ્ટમ કલાકાર કરતા ઉત્પાદનને વધુ મહત્વ આપે છે, જે તેમની સર્જનાત્મકતાને બાધિત કરતી હતી. હવે તેઓ કોઈપણ બંધન વિના હિન્દી અને અન્ય ભાષાના કલાકારો સાથે મુક્તપણે કામ કરવા ઈચ્છે છે.
10 વર્ષની યાદગાર સફર અને એવોર્ડ્સ
જીગરાએ પોતાની 10 વર્ષની કારકિર્દીને અદભૂત ગણાવી શ્રોતાઓનો આભાર માન્યો છે. તેમની સફર માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી રહી:
ઓસ્કર કનેક્શન: 2014માં ફિલ્મ ‘કામસૂત્ર 3D’ ના તેમના ગીતો ઓસ્કર શોર્ટલિસ્ટમાં સ્થાન પામ્યા હતા.
નાની ઉંમરે સિદ્ધિ: માત્ર 18 વર્ષની વયે ‘ઈ-ટીવી લોક ગાયક ગુજરાત’ શોના વિજેતા બન્યા હતા.
સન્માન: ‘વ્હાલમ આવો ને’ માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો GIFA એવોર્ડ અને ટ્રાન્સમીડિયા એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની કરી જાહેરાત : ચાહકોને આંચકો આપતા કહ્યું કે 'હવે કોઈ નવો પ્રોજેક્ટ નહીં સ્વીકારું'
જીગરાના આ ગીતો હંમેશા ગુંજતા રહેશે
ગુજરાતી ફિલ્મોમાં જીગરાનો અવાજ યુવા પેઢીના ધબકાર સમાન રહ્યો છે. તેમના કેટલાક ચાર્ટબસ્ટર ગીતો જે આજે પણ લોકોના પ્લેલિસ્ટમાં છે:
વ્હાલમ આવો ને (લવ ની ભવાઈ): જીગરાની કારકિર્દીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ.
ચાંદ ને કહો (ચાલ જીવી લઈએ): રોમેન્ટિક ગીતોમાં આજે પણ સર્વોપરી.
મોગલ તારો આશરો: ભક્તિ સંગીતમાં ડિજિટલ પ્લેટફોર્મ પર મિલિયન્સ વ્યુઝ મેળવનાર ગીત.
ગરબા આલ્બમ્સ: ‘ગોકુળ ની રમઝટ’ અને ‘વૃંદાવન’ જેવા આલ્બમ્સ દ્વારા નવરાત્રીમાં ધૂમ મચાવી.
ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ થયા ભાવુક
જીગરાની આ જાહેરાત બાદ મલ્હાર ઠાકર, આદિત્ય ગઢવી અને સિદ્ધાર્થ અમિત ભાવસાર જેવા દિગ્ગજ કલાકારોએ પણ સોશિયલ મીડિયા પર આશ્ચર્ય અને લાગણી વ્યક્ત કરી છે. ચાહકો સતત કોમેન્ટ્સ કરીને તેમને નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી રહ્યા છે, પરંતુ જીગરાએ આ નિર્ણયને 'અંતિમ' ગણાવ્યો છે.





