રાજકોટના સામાજિક અગ્રણી જેરામભાઈ પટેલએ હાલના સમયમાં સમાજમાં વધતા કેટલાક દૂષણો અને બદલાતી જીવનશૈલી અંગે મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે ખાસ કરીને મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રસંગો અને સમારંભોમાં બ્યુટી પાર્લર અને મેકઅપ પાછળ થતા બિનજરૂરી ખર્ચથી દૂર રહેવાની જરૂર છે. તેમના મત અનુસાર, કુદરતે આપેલું સ્વાભાવિક સૌંદર્ય જ સાચું સૌંદર્ય છે અને સાદગી જીવનનું શ્રેષ્ઠ આભૂષણ છે.
'આજકાલ નાની ઉંમરના બાળકો લાંબા સમય સુધી મોબાઈલમાં વ્યસ્ત રહે છે'
જેરામભાઈએ વધુમાં બાળકોમાં વધતા મોબાઈલના વ્યસન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આજકાલ નાની ઉંમરના બાળકો લાંબા સમય સુધી મોબાઈલમાં વ્યસ્ત રહે છે, જેના કારણે તેમની કાચી બુદ્ધિ અને માનસિક વિકાસ પર નકારાત્મક અસર પડે છે. વાલીઓએ બાળકોને સંસ્કાર, વાંચન અને રમતો તરફ પ્રોત્સાહિત કરવું જોઈએ અને મોબાઈલના અતિરેકથી દૂર રાખવા ખાસ ધ્યાન આપવું જોઈએ.
‘લેઉવા-કડવા પાટીદાર જેવા ભેદ ભૂલીને માત્ર પાટીદાર તરીકે એકતા જાળવવાની જરૂર'
આ ઉપરાંત, તેમણે આનંદીબેન પટેલના નિવેદનને સમર્થન આપતા જણાવ્યું કે હવે ‘લેઉવા-કડવા પાટીદાર’ જેવા ભેદ ભૂલીને માત્ર ‘પાટીદાર’ તરીકે એકતા જાળવવાની જરૂર છે. સમાજની પ્રગતિ અને શક્તિ માટે એકતા ખૂબ જ આવશ્યક છે.
જેરામભાઈના આ વિચારોને સમાજમાં સકારાત્મક ચર્ચા મળી રહી છે. ઘણા લોકો માને છે કે બદલાતા સમયમાં પરંપરા, સંસ્કાર અને એકતાની વાતો સમાજને સાચી દિશા આપી શકે છે.




















