જામનગરના હાપા વિસ્તારમાં આવેલી મધુસુદન મસાલા કંપનીના ગ્રાઉન્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના ગ્રાઉન્ડ સુકવવા માટે રાખવામાં આવેલા મરચાના વિશાળ જથ્થામાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ લાગતા જ આકાશમાં કાળા અને ઘટ્ટ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ધુમાડાના કારણે આસપાસના વિસ્તારમાં રહેલા લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાઈ હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી.
આગની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી મુજબ કંપનીના ગ્રાઉન્ડમાં મરચાં સુકવવા માટે મોટા પ્રમાણમાં જથ્થો રાખવામાં આવ્યો હતો, જેમાં આગ ફેલાતા ધુમાડો વધુ પ્રમાણમાં ફેલાયો હતો. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.
આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે અન્ય કોઈ કારણસર લાગી છે તે અંગે હજી સુધી સ્પષ્ટતા થઈ નથી. હાલમાં ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી હજુ સુધી સામે આવી નથી, પરંતુ આગને કારણે વિસ્તારમાં ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.



















