Home Gujarat Jamnagar Back To School Campaign 966 Dropout Students Rejoined School

જામનગરમાં 'બેક ટુ સ્કૂલ' અભિયાનને મોટી સફળતા : 966 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ ફરી શાળાએ જોડાયા

વિદ્યાર્થીઓ
Published by: Chintan Chavda
Last Updated: Jul 07, 2026, 12:03 PM IST

ગુજરાત સરકારના 'બેક ટુ સ્કૂલ' અભિયાન હેઠળ જામનગર જિલ્લામાં શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોને નોંધપાત્ર સફળતા મળી છે. જિલ્લામાં શાળા છોડીને અભ્યાસથી દૂર થયેલા 966 વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવ્યા છે. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમના આધારે હાથ ધરાયેલી વિશેષ કામગીરીથી આ વિદ્યાર્થીઓનો પુનઃપ્રવેશ શક્ય બન્યો છે.

જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં ટ્રેક ન થઈ શકેલા વિદ્યાર્થીઓની ઓળખ કર્યા બાદ અધિકારીઓએ તેમના ઘરે જઈ મુલાકાત લીધી, વાલીઓ સાથે ચર્ચા કરી અને વિસ્તૃત સર્વે હાથ ધર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓને ફરી શાળામાં દાખલ કરવા માટે સતત સમજાવટ અને અનુસરણ કરવામાં આવ્યું, જેના પરિણામે અત્યાર સુધીમાં 966 વિદ્યાર્થીઓએ ફરી શાળાનો રસ્તો અપનાવ્યો છે.

15,985 વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ, 6 હજાર વિદ્યાર્થીઓ ભણતા ન હોવાનું સામે આવ્યું

જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાના જણાવ્યા મુજબ, જામનગર જિલ્લામાં કુલ 15,985 વિદ્યાર્થીઓ એવા નોંધાયા હતા, જેઓ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં વિવિધ કારણોસર ટ્રેક થઈ શક્યા ન હતા. તેમાં કેટલાક વિદ્યાર્થીઓ પરિવાર સાથે અન્ય રાજ્યમાં સ્થળાંતર કરી ગયા હતા, જ્યારે કેટલાકે વ્યાવસાયિક શિક્ષણનો માર્ગ પસંદ કર્યો હતો.

સર્વે દરમિયાન અંદાજે 6,000 જેટલા વિદ્યાર્થીઓ એવા હોવાનું સામે આવ્યું કે જેઓ વાસ્તવમાં કોઈપણ શાળામાં અભ્યાસ કરતા ન હતા. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગે વિશેષ અભિયાન શરૂ કર્યું. ખાસ કરીને જ્યાં ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી તેવા વિસ્તારોમાં અધિકારીઓ દ્વારા ઘર-ઘર મુલાકાત લેવામાં આવી હતી.

'પ્રગતિના પ્રવેશોત્સવ'ને મળ્યો ઉત્સાહજનક પ્રતિસાદ

23, 24 અને 25 જૂન દરમિયાન સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લામાં પણ 'પ્રગતિના પ્રવેશોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા અને રાજ્ય કક્ષાના અધિકારીઓ ઉપરાંત રાજ્યના આરોગ્ય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીના બાળકો, ધોરણ-1માં નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ તેમજ માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 અને ધોરણ-11માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લામાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો હતો.

બાલવાટિકા અને ધોરણ-1માં નોંધપાત્ર પ્રવેશ

જામનગર જિલ્લામાં આ વર્ષે બાલવાટિકામાં 7,362 બાળકોનો નવો પ્રવેશ નોંધાયો છે. ઉપરાંત બાલવાટિકામાંથી ધોરણ-1માં અંદાજે 8 હજારથી વધુ બાળકોએ સરકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર 'બેક ટુ સ્કૂલ' અભિયાન હજુ પણ ચાલુ છે. ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શોધી તેમને ફરી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસો આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. શિક્ષણથી વંચિત કોઈપણ બાળક ફરી મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ સતત કાર્યરત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now