Home Gujarat Jamnagar Arushi World Record Bharatnatyam Navras Gbs Survivor

સંઘર્ષથી સિદ્ધિ સુધીની પ્રેરણાદાયી સફર : જામનગરની 9 વર્ષની આરૂષીએ અસાધ્ય બીમારીને હરાવી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સંઘર્ષથી સિદ્ધિ સુધીની પ્રેરણાદાયી સફર
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 09:10 AM IST

4 વર્ષની ઉંમરે ગિલાન-બારે-સિન્ડ્રોમની બીમારીથી શરીરની સંવેદના ગુમાવ્યા બાદ પણ ભારતનાટ્યમના નવરસને ૩૦ સેક્ન્ડમાં અભિવ્યક્ત કરી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા સહીત અનેક પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે.

જામનગરમાં રહેતી માત્ર 9 વર્ષની આરૂષી આજે અનેક બાળકો માટે પ્રેરણારૂપ બની છે. જામનગરની પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય INS વાલસુરામાં અભ્યાસ કરતી આરૂષી ખૂબ જ પ્રતિભાશાળી વિદ્યાર્થીની છે. જીવનમાં અનેક પડકારો સામે આવ્યા છતાં તેણે ક્યારેય હિંમત હારી નથી.

માત્ર ચાર વર્ષની ઉંમરે તેણીને ગિલાન-બારે-સિન્ડ્રોમ નામની ગંભીર બીમારી થઈ હતી. આ બીમારીના કારણે શરીરના અમુક ભાગોમાં સંવેદના ગુમાવી હતી અને બેસવા અને ઉભા રહેવામાં પણ મુશ્કેલી પડતી હતી. તરત જ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી અને લાંબા સમય સુધી દવાઓ, ફિઝિયોથેરાપી અને પરિવારના સતત સહયોગથી આરૂષી ધીમે ધીમે સ્વસ્થ બની.

સ્વસ્થ થયા પછી માતા-પિતાએ આરૂષીની પ્રતિભાને ઓળખી તેને ભરતનાટ્યમ શીખવવાનું શરૂ કરાવ્યું. વર્ષ 2021 માં તેણે નૃત્યની તાલીમ શરૂ કરી. શારીરિક મુશ્કેલીઓ હોવા છતાં અદભૂત આત્મવિશ્વાસ અને મહેનતના બળે પ્રગતિ કરી. શાળા તથા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને તેણે અનેક મેડલ, પ્રમાણપત્રો અને એવોર્ડ પણ મેળવ્યા.

આરૂષી માત્ર નૃત્યમાં જ નહીં પરંતુ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રીતે ભાગ લે છે. ગુજરાત કલા મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં પણ ભાગ લઈને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. ગોલ્ડન કટાર આર્મી પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં અનેક મેડલ, પુરસ્કારો અને શિલ્ડ પ્રાપ્ત કર્યા છે. તેના શિક્ષકો અને પરિવારજનોએ હંમેશા તેને પ્રોત્સાહન આપ્યું છે.

આરૂષીની સિદ્ધિનું સૌથી મોટું પળ ત્યારે આવ્યું જ્યારે 12 નવેમ્બર, 2025 ના રોજ તેણે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો. માત્ર ૩૦ સેકન્ડમાં તેણે નવરસના વિવિધ ભાવ – શૃંગાર (પ્રેમ), હાસ્ય (વિનોદ), કરુણ (દયા/દુઃખ), રૌદ્ર (ક્રોધ), વીર (ઉત્સાહ/પૌરુષ), ભયાનક (ડર), બીભત્સ (અણગમો), અદ્ભુત (આશ્ચર્ય) અને શાંત (વૈરાગ્ય/શાંતિ) અભિવ્યક્ત કરીને અનોખો રેકોર્ડ નોંધાવ્યો. આ સિદ્ધિએ તેના પરિવાર, શિક્ષકો અને સમગ્ર સમાજને ગર્વનો અનુભવ કરાવ્યો.

માત્ર 9 વર્ષની બાળકીની આ સફર સાબિત કરે છે કે સંકલ્પ, મહેનત અને આત્મવિશ્વાસ હોય તો કોઈપણ મુશ્કેલી આપણને અટકાવી શકતી નથી. આજના સમયમાં આરૂષી જેવી પ્રતિભાઓ સમાજ માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. જે જામનગર માટે ગર્વની વાત છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મહિલા દિવસની ઉજવણી નિમિતે કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં આરુષીએ પોતાની નૃત્યકળાથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now