Jammu-Kashmir Pahalgam Terror Attack Latest Updates: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ને મંગળવારના રોજ હિન્દુ પ્રવાસીઓ પર ગોળીબાર કરીને આતંકીઓએ 28 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. આ હુમલામાં આતંકીઓ દ્વારા સૌથી પહેલાં અહીં આવેલાં પર્યટકોનું નામ અને ધર્મ પૂછવામાં આવ્યો. નામ પૂછ્યા બાદ પ્રવાસીની હિન્દૂ તરીકેની ઓળખ થતાં જ આતંકવાદીઓએ તેમના પર અંધાધૂધ ગોળીઓ વરસાવી. ત્યારે આ નરસંહાર કરનાર આતંકીઓ પૈકી એક આતંકવાદીની પહેલી તસવીર સામે આવી હતી. ત્યાર બાદ ચાર આતંકીઓ હાથમાં હથિયાર લઈને એક સાથે ઉભા હોય તેવી તસવીરો સામે આવી છે. પહેલગામમાં થયેલાં આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત કુલ 28 લોકોની હત્યા કરવામાં આવી છે.
પહેલગામમાં પર્યટકો પર ગોળીઓ વરસાવનાર એક હુમલાખોરની જે તસવીર સામે આવી છે તે ઘટના સ્થળ પરની જ છે. આ તસવીરમાં આતંકી પોતાના હાથમાં A-47 રાઈફલ લઈને ફરતો દેખાય છે. આતંકીએ પઠાની કપડા પહેરેલાં પણ આ તસવીરમાં જોવા મળે છે. જો કે આ તસવીરમાં આતંકીનો ચહેરો જોવા મળી રહ્યો નથી. પહેલાગામની ના બાદ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ આ હુમલાની જવાબદારી લીધી છે. પહેલગામમાં હિન્દુ પર્યટકો પર થયેલા હુમલા અને 28 લોકોના દર્દનાક મોત બાદ સ્થિતિ તણાવપૂર્ણ છે. પહેલાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ કાશ્મીર પહોંચ્યા હતા. ત્યાર બાદ ઘટનાને પગલે પીએમ મોદી સાઉદી અરબથી પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. અને સુરક્ષા સંદર્ભે હાઈલેવલ બેઠક યોજી સમીક્ષા કરી રહ્યાં છે.
શું છે TRF? પહેલગામ હુમલામાં શું છે તેની ભૂમિકા?
લશ્કર-એ-તૈયબાની એક પાંખ છે જે ધ રજિસ્ટન્સ ફ્રન્ટ જેને TRF પણ કહેવામાં આવે છે. આ ગ્રૂપે પહેલગામ આતંકી હુમલાની જવાબદારી લીધી છે. આ ગ્રૂપમાં 16 થી 20 વર્ષના નવયુવકોને જ ભરતી કરવામાં આવે છે. અને તેમને ભડકાવીને AK-47 ઘાતક હથિયારો પકડાવી દેવામાં આવે છે. આ ગ્રૂપ છેલ્લાં 4 વર્ષથી એક્ટિવ નહોંતું. જોકે, પહેલગામની આ ઘટનામાં અચાનક આ ગ્રૂપે પોતાની હાજરી દર્શાવવા માટે હુમલો કર્યો છે. જમ્મુમાં સેનાએ સુરક્ષા વધારતા આ સંગઠને હવે કશ્મીર ઘાટીમાં એમાંય ખાસ કરીને પર્યટન સ્થળોને નિશાન બનાવ્યું છે. છેલ્લાં 40 વર્ષમાં પ્રવાસીઓ પર હુમલાની આ સૌથી મોટી ઘટના છે.
હુમલા બાદ આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. NIA ની ટીમ શ્રીનગર પહોંચી ગઈ છે. ફોરેન્સિકની ટીમો પણ ઘટનાસ્થળે છે. સીઆરપીએફ, આર્મી, એસઓજી, જમ્મુ કાશ્મીર પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી રાખ્યો છે. હેલીકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરી આતંકીઓની શોધ થઈ રહી છે. પ્રવાસીઓ પર આતંકવાદી હુમલાની આ ઘટના દુનિયાભરમાં નિંદા થઈ રહી છે.
હુમલા બાદ સુરક્ષા અંગે પીએમ મોદીની હાઈલેવલ બેઠકઃ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. વહેલી સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચતાની સાથે જ તેમણે NSA અજીત ડોભાલ, વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ સચિવ સાથે મુલાકાત કરી અને માહિતી મેળવી. આ અગાઉ પીએમ મોદીએ મંગળવારે જ સાઉદી અરબથી કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી હતી. પીએમ મોદી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા અંગે વાતચીત પણ થઈ હતી. મોહમ્મદ બિન સલમાને આતંકી હુમલાને વખોડી નાખ્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું- અમારો ફૂલ સપોર્ટ-
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને જમ્મુ કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તારિક કર્રા સાથે પહેલગામમાં થયેલા આતંકી હુમલા અંગે વાત કરી છે. સ્થિતિ પર અપડેટ મેળવી. પીડિતોના પરિવારને ન્યાય મળવો જોઈએ. અમારો ફૂલ સપોર્ટ છે.






