Vadodara ISKCON Jagannath Rath Yatra 2026: આષાઢ સુદ બીજના પવિત્ર અવસરે વડોદરા શહેર ફરી એકવાર ભક્તિ અને આધ્યાત્મિકતાના રંગે રંગાવા જઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ઇસ્કોન) વડોદરા દ્વારા ગુરુવાર, 16 જુલાઈ, 2026ના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 45મી વાર્ષિક ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી સતત યોજાતી આ રથયાત્રા આજે વડોદરાના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવોમાં સ્થાન મેળવી ચૂકી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે આ યાત્રામાં ઉમટી પડે છે. આ વર્ષે પણ ભવ્ય શણગારેલા રથ, હરિનામ સંકીર્તન, ભજન-કીર્તન, મહાપ્રસાદ, ધાર્મિક વિધિઓ અને સામાજિક સંદેશ સાથે નીકળનારી આ રથયાત્રા શહેરમાં અનોખું ભક્તિમય વાતાવરણ સર્જશે. ખાસ કરીને 45 ટન શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલા શીરો મહાપ્રસાદનું વિતરણ આ વર્ષની રથયાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે. ઇસ્કોન દ્વારા સાંજે મંદિર ખાતે હજારો ભાવિકો માટે વિશાળ ભંડારા મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
વિશ્વભરમાં ઇસ્કોન દ્વારા ઉજવાય છે ભગવાન જગન્નાથની રથયાત્રા
ભગવાન જગન્નાથજીની રથયાત્રા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ આજે વિશ્વભરમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ઇસ્કોનના સંસ્થાપકાચાર્ય પરમ પૂજ્ય શ્રી શ્રીમદ્ અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદે ભગવાન જગન્નાથજીની આ પ્રાચીન પરંપરાને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં ઐતિહાસિક યોગદાન આપ્યું છે. શ્રીલ પ્રભુપાદના પ્રયાસોથી આજે વિશ્વના અનેક દેશો અને શહેરોમાં દર વર્ષે ઇસ્કોન દ્વારા એક હજારથી વધુ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. લાખો ભક્તો આ યાત્રાઓમાં જોડાઈ ભગવાન જગન્નાથ, બળદેવજી અને સુભદ્રાજીના આશીર્વાદ મેળવે છે. વડોદરાની રથયાત્રા પણ આ વૈશ્વિક પરંપરાનો મહત્વનો હિસ્સો બની ગઈ છે.
વડોદરા રેલવે સ્ટેશનથી બપોરે 2:30 વાગ્યે થશે પ્રસ્થાન
ઇસ્કોન વડોદરાની 45મી રથયાત્રાનો પ્રારંભ ગુરુવારે બપોરે 2:30 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી થશે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી આ યાત્રા સાંજે અંદાજે 8 વાગ્યે બરોડા હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થશે. રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થઈ સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડા નાકા, કોઠી કચેરી, રાવપુરા મુખ્ય માર્ગ, જ્યુબિલી બાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલ કોર્ટ (ન્યાય મંદિર), મદનઝાંપા રોડ, કેવડાબાગ અને પોલો ગ્રાઉન્ડ સામે આવેલી બરોડા હાઈસ્કૂલ સુધી પહોંચશે. સમગ્ર માર્ગ પર હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે ઉમટી પડે તેવી સંભાવના છે.
પાહિંદા વિધિ સાથે થશે રથયાત્રાનો પ્રારંભ
જગન્નાથ પુરીની સદીઓ જૂની પરંપરા મુજબ ગજપતિ મહારાજ ભગવાનના રથ આગળ સોનાની ઝાડુ વડે માર્ગની પવિત્ર સફાઈ કરે છે, જેને 'પાહિંદા' અથવા 'છેરા પહરા' વિધિ તરીકે ઓળખવામાં આવે છે. આ વિધિ ભગવાન સમક્ષ દરેક વ્યક્તિ સમાન હોવાનો સંદેશ આપે છે અને રાજા પણ ભગવાનના સેવક હોવાનું પ્રતિક માનવામાં આવે છે. આ પરંપરાને અનુસરી વડોદરાના મેયર ગીતાબેન મકવાણા સહિત શહેરના મહાનુભાવો રથયાત્રા શરૂ થાય તે પહેલાં પરંપરાગત પાહિંદા વિધિ સંપન્ન કરશે. આ ધાર્મિક વિધિ બાદ ભગવાનના રથનું વિધિવત્ પ્રસ્થાન કરાવવામાં આવશે.
45 ટન શીરો મહાપ્રસાદનું થશે વિતરણ
આ વર્ષની રથયાત્રાનું સૌથી વિશેષ આકર્ષણ 45,000 કિલોગ્રામ એટલે કે 45 ટન શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલ શીરો મહાપ્રસાદ રહેશે. ઇસ્કોન વડોદરાના ભક્તો દ્વારા પાંચ વિશેષ ટ્રકો મારફતે સમગ્ર યાત્રામાર્ગ પર હજારો શ્રદ્ધાળુઓને આ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ઇસ્કોનના ભક્તો દ્વારા શ્રીલ પ્રભુપાદના આધ્યાત્મિક ગ્રંથોનું પણ વિતરણ કરવામાં આવશે, જેથી વધુને વધુ લોકો ભગવાન શ્રીકૃષ્ણ અને વૈદિક જીવનદર્શન વિશે જાણકારી મેળવી શકે.
પર્યાવરણ જાગૃતિનો પણ અપાશે સંદેશ
ધાર્મિક કાર્યક્રમ સાથે સામાજિક જવાબદારી નિભાવવાના હેતુથી ઇસ્કોન વડોદરા દ્વારા આ વર્ષે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવશે. રથયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ ભક્તોને છોડના રોપાઓનું વિતરણ કરવામાં આવશે અને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપવામાં આવશે. ઇસ્કોન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ધાર્મિક કાર્યક્રમો સાથે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જાગૃતિના વિવિધ અભિયાનો પણ ચલાવવામાં આવે છે, જેને શહેરવાસીઓનો સારો પ્રતિસાદ મળતો રહ્યો છે.
સાંજે મંદિર ખાતે ભંડારા મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા
રથયાત્રા દરમિયાન શહેરમાં મહાપ્રસાદના વિતરણ ઉપરાંત ઇસ્કોન વડોદરા મંદિર ખાતે સાંજે 5:30 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી તમામ ભાવિકો માટે ભંડારા મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના પ્રસાદનો લાભ લઈ શકશે. ઇસ્કોન વડોદરાએ શહેરના તમામ નાગરિકો, હરિભક્તો અને શ્રદ્ધાળુઓને પરિવાર સાથે આ ભવ્ય રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો, ધારાસભ્યો, મહાનગરપાલિકાના કાઉન્સિલરો, ઇસ્કોનના આજીવન સભ્યો તેમજ ભારતના વિવિધ શહેરો અને ગામડાઓમાંથી હજારો ભક્તો આ મહોત્સવમાં ભાગ લેશે. ભગવાન શ્રી જગન્નાથજીની કૃપા, ભક્તિ, સેવા અને સમરસતાનો સંદેશ આપતી આ 45મી વાર્ષિક રથયાત્રા વડોદરામાં આધ્યાત્મિક ઉત્સવની સાથે સામાજિક એકતા અને સાંસ્કૃતિક ગૌરવનું પણ ભવ્ય પ્રતીક બનશે.





