KKR's big decision: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ઓફિશિયલ રીતે પુષ્ટિ કરી છે કે, તેઓએ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી બહાર કર્યો છે. જે ગયા મહિને યોજાયેલા મિની ઓક્શનમાં KKR એ ચેન્નાઈ અને દિલ્હી સામેની ભારે સ્પર્ધા કર્યા પછી ₹9.20 કરોડની મોટી કિંમતે તેને ખરીદ્યો હતો. જોકે, લીગ શરૂ થાય તે પહેલા જ ફ્રેન્ચાઇઝીએ આ કડક નિર્ણય લેવો પડ્યો છે.
BCCI નો આદેશ
આ નિર્ણય KKR દ્વારા સ્વેચ્છાએ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના નિર્દેશ પર લેવામાં આવ્યો છે. IPL ના નિયમનકાર તરીકે BCCI એ ફ્રેન્ચાઇઝીને મુસ્તફિઝુરને બહાર કરવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી. આ માટે તમામ જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ અને પરામર્શ પૂર્ણ કરવામાં આવ્યા છે. બોર્ડે KKR ને તેના બદલે રિપ્લેસમેન્ટ ખેલાડી લેવાની મંજૂરી પણ આપી દીધી છે.
રાજકીય તણાવ અને વિવાદનું કારણ
બાંગ્લાદેશમાં હાલની અસ્થિર પરિસ્થિતિ અને લઘુમતીઓની સુરક્ષાના મુદ્દે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકીય સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. શાસક પક્ષના નેતાઓ અને સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશી ખેલાડીઓના સમાવેશ અંગે ભારે વિરોધ જોવા મળી રહ્યો હતો. આ દબાણની અસર KKR ના સહ-માલિક શાહરૂખ ખાન પર પણ પડી હતી, જેમને આ ડીલ માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
મુસ્તફિઝુરની IPL સફર પર બ્રેક
મુસ્તફિઝુર રહેમાન IPL નો અનુભવી ખેલાડી રહ્યો છે. 2016 થી અત્યાર સુધી તે સનરાઇઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી મોટી ટીમો માટે રમી ચૂક્યો છે. 2026 માં તે પહેલીવાર KKR ની જર્સીમાં દેખાવાનો હતો, પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધો અને દ્વિપક્ષીય શ્રેણીઓ રદ થવાની સ્થિતિમાં તેને આ તક ગુમાવવી પડી છે.





















