ભાવનગર જિલ્લાના બગદાણા વિવાદ મામલે ફરી એક વખત ચર્ચા વધી છે. બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાની ઘટનાને લઈને અગાઉ મોટો વિવાદ સર્જાયો હતો. જેમાં માયા આહીરના પુત્ર જયરાજ આહીર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
બગદાણા વિવાદ મામલો
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને SIT દ્વારા સતત તપાસ ચાલી રહી છે. શરૂઆતમાં પોલીસે 8 શખ્સોને ઝડપી લીધા હતા, ત્યારબાદ SIT દ્વારા વધુ 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધીમાં કુલ 13 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. સાથે જ SIT દ્વારા આ કેસમાં સંડોવાયેલા હોવાની શંકા હેઠળ આશરે 19 જેટલાં લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
જયરાજ આહીરને ફરીથી બોલાવવામાં આવ્યો
મહત્વપૂર્ણ બાબત એ છે કે, સમગ્ર ઘટનામાં નામ સામે આવેલા જયરાજ આહીરને થોડા દિવસ પહેલા SIT દ્વારા IG કચેરી ખાતે નિવેદન માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યારે તેની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. હવે આજે ફરીથી SIT દ્વારા જયરાજ આહીરને બોલાવવામાં આવ્યો છે, જેના કારણે કેસમાં ફરી એક નવો વળાંક આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવા ખુલાસાઓ થવાની સંભાવના
પોલીસ સૂત્રો મુજબ, આજે થનારી SIT તપાસ દરમિયાન નવા ખુલાસાઓ થવાની સંભાવના છે. બગદાણા વિવાદ મામલે ચાલી રહેલી તપાસ પર સમગ્ર રાજ્યની નજર ટકી છે અને આવનારા દિવસોમાં કેસ વધુ ગંભીર બની શકે છે.





















