Sports News: ક્રિકેટ જગતથી મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ જ્યાં ક્રિકેટના ચાહકો IPL ઓક્શનમાં વ્યસ્ત હતા, તો બીજી તરફ સ્ટાર ભારતીય ઓપનરને અચાનક જ હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો. 16મી ડિસેમ્બરની બપોરથી દુબઈમાં આઈપીએલ 2026નું મિનિ ઓક્શન ચાલી રહ્યું હતું, જે દરમિયાન બીજી તરફ કેટલાક ખેલાડીઓ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી (SMAT)માં ચમકી રહ્યા હતા, જેમાં એક ખેલાડી યશસ્વી જયસ્વાલ પણ હતો જેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જયસ્વાલ SMATમાં મુંબઈ તરફથી રમી રહ્યો છે અને 16મીએ રમાયેલી મેચ મુંબઈએ જીતી લીધી હતી. જો કે, ભારતીય ટીમના સ્ટાર બેટર યશસ્વી જયસ્વાલની ટુર્નામેન્ટ વચ્ચે જ અચાનક તબિયત ખરાબ થઈ હતી.
જયસ્વાલને હોસ્પિટલમાં દાખલ કરાયા
મળતી માહિતી અનુસાર, ભારતીય ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલને તીવ્ર ગેસ્ટ્રોએન્ટેરાઇટિસથી હોસ્પિટલની સમસ્યા ઉભી થવાના કારણે દાખલ કરવામાં આવ્યો હતો. 16 ડિસેમ્બરે દેશ ઇન્ડિયન પ્રીમિયર લીગના મિનિ ઓક્શનથી વ્યસ્ત હતો, અને ખેલાડીને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. પુણેમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સુપર લીગ મેચમાં મુંબઈએ રાજસ્થાનને હરાવ્યાના થોડા કલાકો પછી આ ઘટના બની હતી. મેચમાં જયસ્વાલે 16 બોલમાં 15 રન બનાવ્યા હતા.
અલ્ટ્રાસાઉન્ડ અને સીટી સ્કેન કરાવ્યા
મહત્વનું છે કે, મેચ પછી જયસ્વાલને પેટમાં તીવ્ર દુખાવો થયો હતો, જેના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ હતી. ત્યારબાદ તેને પિંપરી-ચિંચવડની આદિત્ય બિરલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોકટરોએ તેને તીવ્ર ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ હોવાનું નિદાન કર્યું હતું. હોસ્પિટલમાં જયસ્વાલની સારવાર સાથે અલ્ટ્રાસાઉન્ડ અને સીટી સ્કેન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ, ડોકટરોએ તેમને તેમની દવા ચાલુ રાખવા અને આરામ કરવાની સલાહ આપી છે.
મેચમાં જયસ્વાલે 16 બોલમાં 15 રન બનાવ્યા
સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં, જયસ્વાલે ત્રણ મેચમાં 48.33ની સરેરાશ અને 168.6ના સ્ટ્રાઇક રેટથી 145 રન બનાવ્યા છે. ઘરેલુ T20 ટુર્નામેન્ટ પહેલા, જયસ્વાલે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં ભાગ લીધો હતો, જેમાં 78ની પ્રભાવશાળી એવરેજથી 156 રન બનાવ્યા હતા. મેચમાં, અજિંક્ય રહાણેના અણનમ 72 રન અને સરફરાઝ ખાનના 22 બોલમાં 73 રનના કારણે, મુંબઈએ મંગળવારે પુણેમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સુપર લીગ ગ્રુપ B મેચમાં રાજસ્થાનને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. રહાણેના 72 રન 41 બોલમાં આવ્યા હતા, જેમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.
આગામી ODI સીરીઝની તૈયારી પર પડશે અસર!
જણાવી દઈએ કે, ભારતની આગામી ODI સીરીઝ જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે યોજાવાની છે. આ પહેલા યશસ્વી જયસ્વાલ પોતાને સારા ફોર્મમાં રાખવા માંગશે. તેં ટાર્ગેટ ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા બચાવવાનું પણ હશે, કારણ કે ગિલ પણ હવે ODI ટીમમાં પાછો ફરશે. એવામાં જયસ્વાલ 24 ડિસેમ્બરથી શરૂ થનારી વિજય હજારે ટ્રોફીમાં ભાગ લઈ શકે છે. રોહિત શર્મા પણ વિજય હજારે ટ્રોફીમાં કેટલીક મેચ રમવાના છે અને જયસ્વાલ પણ આવું જ કરી શકે છે.





















