પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાને મોટી જાહેરાત કરી છે. પાકિસ્તાન 24-25 એપ્રિલના રોજ અરબી સમુદ્રમાં તેના દરિયાઈ વિસ્તારમાં કરાચી કિનારે સપાટીથી સપાટી પર માર કરનાર મિસાઈલનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાને આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.
પાકિસ્તાને અરબી સમુદ્ર પર નો-ફ્લાય ઝોન પણ જાહેર કર્યો છે. પાકિસ્તાન કરાચી નજીક અરબી સમુદ્રમાં સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં મિસાઈલનું પરીક્ષણ કરશે. જ્યારે, ભારતીય સુરક્ષા એજન્સીઓ આ પરીક્ષણ પર ચાંપતી નજર રાખી રહી છે. પાકિસ્તાને તેની એરફોર્સને સુરક્ષા એલર્ટ પર મૂકી દીધી છે.
ભારતીય વિમાનોની અવરજવર પર નજર રાખશે. CCSમાં ભારતે 5 મોટા પગલાં લીધા બાદ પાકિસ્તાન એક્શનમાં આવ્યું છે. દરમિયાન પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે. મુંબઈ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ ઉપરાંત અનંતનાગ પોલીસે પહેલગામ આતંકી હુમલાના આરોપીઓ વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. આતંકીઓની ઓળખ આદિલ હુસૈન ઠોકર, અલી ભાઈ અને હાશિમ મુસા તરીકે થઈ હતી.






