ઈરાનમાં ગત મહિને જપ્ત કરાયેલા એક કોમર્શિયલ જહાજ પર સવાર 16 ભારતીય ક્રૂ મેમ્બર્સની મદદ માટે ભારત સરકાર સતત પ્રયાસો કરી રહી છે. તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા શનિવારે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેઓ ઈરાની સત્તાવાળાઓ પર દબાણ બનાવી રહ્યા છે જેથી ફસાયેલા ભારતીયોને વહેલી તકે કોન્સ્યુલર એક્સેસ મળી શકે અને તેઓ સુરક્ષિત રીતે વતન પરત ફરી શકે.
14 ડિસેમ્બરથી જહાજ છે ઈરાનની કસ્ટડીમાં
દૂતાવાસના જણાવ્યા અનુસાર MT Valiant Roar નામનું આ જહાજ 14 ડિસેમ્બરના રોજ ઈરાની સત્તાવાળાઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ બંદર અબ્બાસમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે તાત્કાલિક પગલાં ભરવાનું શરૂ કર્યું હતું. ભારતીય મિશન દ્વારા ઈરાન સરકારને પત્ર લખીને ક્રૂ મેમ્બર્સ સાથે મુલાકાત કરવાની મંજૂરી માંગવામાં આવી છે. આ માટે રાજદૂત સ્તરે અનેક બેઠકો પણ યોજાઈ ચૂકી છે. જોકે આ મામલો ઈરાનની ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે પરંતુ ભારત આ પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર મૂકી રહ્યું છે.
પરિવાર સાથે સંપર્ક અને જીવનજરૂરી ચીજોની વ્યવસ્થા
ભારતીય દૂતાવાસે ઈરાની અધિકારીઓને વિનંતી કરી છે કે ભારતીય નાવિકોને તેમના પરિવારજનો સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવે. જહાજ પર ખોરાક અને પાણીનો સ્ટોક ઓછો હોવાની માહિતી મળતા જ જાન્યુઆરીની શરૂઆતમાં ભારતીય મિશન દ્વારા ઈરાની નૌકાદળના હસ્તક્ષેપથી ઈમરજન્સી સપ્લાયની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત જહાજની માલિક કંપનીના સ્થાનિક એજન્ટો સાથે પણ સતત સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે.
UAEની કંપની પર પણ બનાવવામાં આવ્યું દબાણ
MT Valiant Roar જહાજની માલિક કંપની સંયુક્ત આરબ અમીરાત (UAE)માં સ્થિત છે. આ બાબતે દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ પણ સક્રિય થયું છે અને માલિક કંપની પર કાયદાકીય મદદ પૂરી પાડવા માટે દબાણ કરી રહ્યું છે. ઈરાની અદાલતોમાં ભારતીય નાવિકોને યોગ્ય કાયદાકીય સહાય મળે તે માટે ભારત સરકાર દ્વારા વકીલો અને કાનૂની સલાહકારોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલય આ સમગ્ર મામલા પર અત્યંત ગંભીરતાથી નજર રાખી રહ્યું છે.





















