ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્લેને પેરિસની મુલાકાત દરમિયાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર નાગરિક ઉડ્ડયન સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. પીએમ મોદીનું ' એર ઈન્ડિયા 1 " વિમાન પાકિસ્તાનના શેખપુરા, હાફિઝાબાદ, ચકવાલ અને કોહાટ વિસ્તારોમાંથી પસાર થયું હતુંઅને લગભગ 46 મિનિટ સુધી પાકિસ્તાની વિસ્તારમાં હતું.
પાકિસ્તાની ન્યૂઝ એજન્સી અનુસાર અફઘાનિસ્તાનનું હવાઈ ક્ષેત્ર બંધ થવાના કારણે ભારતીય પ્રધાનમંત્રીના વિમાનને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પહેલીવાર નથી જ્યાં નરેન્દ્ર મોદીના વિમાને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો હોય. ગત વર્ષે ઓગસ્ટ 2024માં મોદીના પ્લેને પોલેન્ડથી દિલ્હીની મુસાફરી દરમિયાન પણ પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો હતો. તે સમયે, વિમાન રાત્રે 11 વાગ્યે પાકિસ્તાની એરિયામાં પ્રવેશ્યું અને 46 મિનિટ સુધી ત્યાં રહ્યું હતું.
ભારત-પાકિસ્તાન સંબંધો
માર્ચ 2019માં, પાકિસ્તાને નાગરિક ઉડાનો માટે તેના તમામ હવાઈ ક્ષેત્રના પ્રતિબંધો હટાવી દીધા હતા, જે લગભગ પાંચ મહિના માટે બંધ હતા. આ નિર્ણય ભારત-પાકિસ્તાન સૈન્ય ગતિરોધ બાદ લેવામાં આવ્યો હતો, જે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સેનાના કાફલા પર થયેલા હુમલા પછી શરૂ થયો હતો, જેમાં 44 ભારતીય અર્ધલશ્કરી પોલીસ અધિકારીઓના મોત થયા હતા. ઓગસ્ટ 2019માં, જ્યારે નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A નાબૂદ કરી, ત્યારે પાકિસ્તાને ભારત સાથેના તેના રાજદ્વારી સંબંધોને ઘટાડ્યા. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર પણ સ્થગિત કરી દેવામાં આવ્યો છે.





