નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલી ‘માસિક આર્થિક સમીક્ષા – જૂન 2025’ રિપોર્ટ અનુસાર, તમામ વૈશ્વિક પડકારો છતાં ભારતનું અર્થતંત્ર મજબૂત રહી ગયું છે. મજબૂત સ્થાનિક માંગ, અનુકૂળ ચોમાસું, અને જવાબદાર નાણાકીય વ્યવસ્થાપન ભારતની આર્થિક મજબૂતી પાછળના મુખ્ય તત્વો છે.
અહેવાલ મુજબ, ભારતીય અર્થતંત્ર 2025ના મધ્યમાં સાવચેતીભર્યા આશાવાદ સાથે આગળ વધી રહ્યું છે. વૈશ્વિક વેપાર તણાવ, ભૂરાજકીય અનિશ્ચિતતાઓ છતાં મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ મજબૂત હોવાનું જણાવ્યું છે.
FY26 માટે GDP વૃદ્ધિ દર 6.2% થી 6.5% સુધીની ધારણા
S&P, ICRA અને RBI જેવા પ્રખ્યાત આર્થિક સંસ્થાઓએ FY26 માટે GDP વૃદ્ધિ દર 6.2% થી 6.5% વચ્ચે રહેવાનો અંદાજ લગાવ્યો છે.
પ્રથમ ત્રિમાસિક ગાળામાં સેવા ક્ષેત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિઓમાંથી મજબૂત સંકેતો મળ્યા છે.
કૃષિમાં ઉછાળો, ગ્રામિણ આવકમાં વધારો
અનુકૂળ ચોમાસાથી કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
ખાતર ઉપલબ્ધિ અને જળાશય સ્તર પણ સંતોષકારક છે, જેના કારણે ખરીફ પાક સારી રહેવાની અપેક્ષા છે.
નાબાર્ડના સર્વે મુજબ, 74.7% થી વધુ ગ્રામીણ પરિવારો આવક વધારાની આશા ધરાવે છે — જે સર્વેના ઇતિહાસમાં સૌથી વધુ છે.
ફુગાવા નિયંત્રણમાં
મુખ્ય ફુગાવાનો દર RBIના 4% લક્ષ્યાંકથી નીચે રહ્યો છે.
આ કારણે નીતિ નિર્માતાઓને નાણાંકીય નીતિ બનાવવામાં થોડી રાહત મળી છે.
ચેતવણી પણ આપવામાં આવી
નાણા મંત્રાલયે ચેતવણી આપી છે કે યુએસમાં મંદી (Q1 2025માં 0.5% ઘટાડો) સહિતની વૈશ્વિક અસરો ભારતીય નિકાસને અસર પહોંચાડી શકે છે.
ઉપરાંત, જથ્થાબંધ ડિફ્લેશનના કારણે વાસ્તવિક GDP પર વધુ આધાર રાખવો જોખમી હોઈ શકે છે.




















