ભારત દેશની અર્થવ્યવસ્થા માટે ચિંતાજનક એવા આંકડા સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ મે મહિનામાં ભારતની થોક મોંઘવારી દર (WPI) વધીને 9.68 ટકા પર પહોંચી ગઈ છે. એપ્રિલ મહિનામાં આ દર 8.26 ટકા હતો, જ્યારે અર્થશાસ્ત્રીઓએ મે મહિનામાં થોક મોંઘવારી લગભગ 9.05 ટકા સુધી રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જોકે વાસ્તવિક આંકડો અંદાજ કરતાં પણ વધુ રહ્યો છે, જે દેશના વેપાર, ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.
આ વધારાનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં સર્જાયેલા ભૂરાજકીય તણાવ અને તેના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં આવેલા આંચકા છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો નોંધાયો હતો, જેના પરિણામે ભારત જેવા આયાત આધારિત દેશો પર સીધી અસર પડી છે.
6 મહિનામાં સૌથી ઊંચી થોક મોંઘવારી
સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ આધાર વર્ષ 2022-23 હેઠળની નવી શ્રેણી મુજબ આ પ્રથમ સત્તાવાર થોક મોંઘવારીનો આંકડો છે. નવી ગણતરી પદ્ધતિ હેઠળ મે મહિનામાં નોંધાયેલી 9.68 ટકાની મોંઘવારી છેલ્લા છ મહિનામાં સૌથી ઊંચી ગણાઈ રહી છે.
રસપ્રદ બાબત એ છે કે જ્યાં એક તરફ ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત રિટેલ મોંઘવારી હજુ પણ 3.93 ટકા આસપાસ નિયંત્રણમાં જોવા મળી રહી છે, ત્યાં બીજી તરફ થોક મોંઘવારી લગભગ 10 ટકાની નજીક પહોંચી ગઈ છે. તેનું મુખ્ય કારણ ઈંધણ અને ઊર્જા ક્ષેત્રને WPIમાં મળતું ઊંચું વજન માનવામાં આવે છે.
ઈંધણ અને વીજળીના ભાવ બન્યા સૌથી મોટું કારણ
મે મહિનાની થોક મોંઘવારીમાં સૌથી મોટો ફાળો ઈંધણ અને ઊર્જા ક્ષેત્રનો રહ્યો છે. આંકડા દર્શાવે છે કે ઈંધણ અને વીજળીની થોક કિંમતોમાં વાર્ષિક ધોરણે 30.33 ટકાનો વધારો નોંધાયો છે. એપ્રિલ મહિનામાં આ વધારો 24.89 ટકા હતો.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આશરે 27 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ વધારાની સીધી અસર ભારતની સરકારી તેલ કંપનીઓ પર પડી હતી. પરિણામે મે મહિનામાં ચાર વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ઊર્જા ક્ષેત્રમાં વધેલા ખર્ચની અસર પરિવહન, ઉત્પાદન અને લોજિસ્ટિક્સ ખર્ચ પર પણ પડી છે, જેના કારણે અનેક વસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો છે.
ખાદ્યપદાર્થો અને ઉત્પાદન ખર્ચમાં પણ વધારો
મોંઘવારીનો દબાણ માત્ર ઈંધણ પૂરતો મર્યાદિત રહ્યો નથી. ખાદ્યપદાર્થોની થોક મોંઘવારીમાં પણ વધારો નોંધાયો છે. એપ્રિલ મહિનામાં ખાદ્ય મોંઘવારી 2.43 ટકા હતી, જે મે મહિનામાં વધીને 3.60 ટકા થઈ ગઈ છે. તે જ રીતે ઉત્પાદન ક્ષેત્રે પણ ખર્ચમાં વધારો નોંધાયો છે. મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સના ભાવ એપ્રિલમાં 6.68 ટકા વધ્યા હતા, જ્યારે મે મહિનામાં તેમાં વધારો થઈ 7.48 ટકા સુધી પહોંચ્યો છે. કાચા માલ, ઊર્જા ખર્ચ અને પરિવહન ખર્ચમાં વધારો તેના મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: જોજો ગૂગલ મેપના ભરોશે ના રહેતા! : પરિવારને જવું હતું લગ્નમાં, પહોંચી ગયો સીધો નાળામાં
RBI માટે હાલ તાત્કાલિક ચિંતાનો વિષય નહીં
થોક મોંઘવારીમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) હાલ વ્યાજદર વધારવાનો કોઈ તાત્કાલિક નિર્ણય લે તેવી શક્યતા ઓછી છે. RBI મુખ્યત્વે રિટેલ મોંઘવારી એટલે કે CPI પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેને 4 ટકા આસપાસ જાળવવાનો પ્રયાસ કરે છે. જૂન મહિનાની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં પણ RBIએ વ્યાજદર યથાવત રાખ્યા હતા. બેન્ક હાલમાં ઊંચા ઈંધણ ભાવોની અન્ય ક્ષેત્રો પર કેવી અસર પડે છે તેની સમીક્ષા કરી રહી છે.
નવા Producer Price Indexની શરૂઆત
મે મહિનાના આંકડાઓ સાથે કેન્દ્ર સરકારે પ્રથમ વખત નવા Producer Price Indicators (PPI) પણ જાહેર કર્યા છે. તેમાં Output PPI, Trial Input PPI અને Services PPIનો સમાવેશ થાય છે. સર્વિસીસ PPI હેઠળ બેંકિંગ, વીમા, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન, પેન્શન ફંડ મેનેજમેન્ટ, રેલવે, હવાઈ મુસાફરી અને ટેલિકોમ્યુનિકેશન સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. આ સૂચકાંકો ભવિષ્યમાં અર્થવ્યવસ્થાની દિશા સમજવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો: 100% ઇથેનોલ પેટ્રોલની જગ્યા કેવી રીતે લેશે? : જાણો નવા ફ્યુઅલની સૌથી મોટી ઘાતક તાકાત અને કમજોરી
જૂનના આંકડાઓમાં રાહતની આશા
જોકે મે મહિનાના આંકડાઓ ચિંતાજનક છે, પરંતુ અર્થશાસ્ત્રીઓ આગામી મહિનાઓ માટે આશાવાદી છે. તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતી તથા મધ્ય પૂર્વમાં ઘટેલા તણાવના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં રાહત જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઈલના ભાવ ફરીથી નરમ પડતા બ્રેન્ટ ક્રૂડ 84 ડોલર પ્રતિ બેરલથી નીચે સરક્યું છે. રેટિંગ એજન્સી ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી રાહુલ અગ્રવાલના જણાવ્યા અનુસાર જો આ સ્થિતિ યથાવત રહે તો જૂન મહિનાના થોક મોંઘવારીના આંકડાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ઊર્જા અને કોમોડિટી બજારમાં સ્થિરતા જળવાઈ રહેશે તો આગામી મહિનાઓમાં ભારતને મોંઘવારીના મોરચે મોટી રાહત મળી શકે છે.





