ઈરાન ભારતનો જૂનો મિત્ર છે અને તેની સાથે તેના ઊંડા સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધો છે. 2014 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી, ખાસ કરીને સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રોમાં, ઈઝરાયલ સાથેના સંબંધોમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં જ્યારે ઈરાન અને ઈઝરાયેલ આમને-સામને છે ત્યારે ભારતે કોઈ પક્ષ પસંદ કરવાનું ટાળ્યું છે અને 'સંવાદ અને કૂટનીતિ' ના પોતાના મંત્ર પર વળગી રહ્યું છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની ક્યારેક કાશ્મીર મુદ્દા અને 'લઘુમતીઓ સાથેના વર્તન' પર ભારતની ટીકા કરે છે જોકે, ઈરાને ક્યારેય ભારતીય હિતોની વિરુદ્ધ કામ કર્યું નથી. ભારતની ઈરાનમાં નોંધપાત્ર હિસ્સેદારી છે, ખાસ કરીને ચાબહાર બંદર પ્રોજેક્ટમાં. ભારત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સાથે સરહદો ધરાવતા દેશને આ ક્ષેત્રમાં એક મુખ્ય સાથી તરીકે જુએ છે. અમેરિકાએ ઈરાન પર અનેક પ્રતિબંધો મુક્યા પણ તેનાથી ભારત અને ઈરાનનાં સંબંધોમાં જરાય ઉણપ નથી આવી.
ચાબહારમાં ઈરાનનો ભાગીદાર
અમેરિકાના પ્રતિબંધો પછી ભારતે ઈરાનથી ક્રૂડ ઓઈલ આયાત કરવાનું બંધ કરી દીધું છે અને તેની ઉર્જા જરૂરિયાતો માટે રશિયા તરફ વળ્યું છે, આ સમયે
ભારત અને ઈરાન વચ્ચેની કનેક્ટિવિટી સંબંધોનો આધાર બને છે. આક્રમક ચીન સામે મધ્ય એશિયામાં તેના ભૂ-રાજકીય પ્રભાવને મજબૂત કરવા તેમજ ભારતની કનેક્ટિવિટી યોજનાઓ માટે ચાબહાર બંદર મહત્વપૂર્ણ છે
પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાને વૈકલ્પિક માર્ગ પૂરો પાડવા ઉપરાંત, ચાબહાર એ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) અને પાકિસ્તાનના ગ્વાદર બંદરનો જવાબ છે. આ બંદર, જેના વિકાસ માટે ભારતે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, તેને આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર (NSTC) સાથે જોડવાની પણ અપેક્ષા છે, જે ભારતને યુરોપની નજીક લાવશે. હોર્મુઝ સ્ટ્રેટ નજીક બંદરનું સ્થાન, જે વૈશ્વિક તેલ વેપારનો 20% હિસ્સો ધરાવે છે, તેના વ્યૂહાત્મક મહત્વમાં વધારો કરે છે.
યુએનમાં પરસ્પર સમર્થન
શાંઘાઈ સહકાર સંગઠન અને બ્રિક્સ જેવા મુખ્ય જૂથોમાં ઈરાનની સભ્યપદને સરળ બનાવવામાં ભારતે પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે, ભારતે નવી શિક્ષણ નીતિ હેઠળ નવ શાસ્ત્રીય ભાષાઓમાં ફારસીનો પણ સમાવેશ કર્યો છે. ઈરાનનો પણ મહત્વપૂર્ણ સમયે સતત સમર્થનનો ઇતિહાસ રહ્યો છે. 1994 માં, ઈરાને કાશ્મીર મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર આયોગ (UNCHR) માં ભારતની ટીકા કરતા ઠરાવને રોકવામાં મદદ કરી હતી.
આ ઠરાવ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ (OIC) દ્વારા રજૂ કરવામાં આવી રહ્યો હતો, જેને પ્રભાવશાળી પશ્ચિમી દેશોનો ટેકો હતો. જો તે પસાર થઈ જાય, તો આ ઠરાવ ભારત સામે આર્થિક પ્રતિબંધો લાદવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગયો હોત. ઈરાનની મદદનો ભારતે સમય આવ્યો બદલો વાળી આપ્યો. 2023 માં, ભારત એ 30 દેશોમાં સામેલ હતું, જેણે ઈરાનમાં માનવ અધિકારોની સ્થિતિ પર યુએનના ઠરાવ વિરુદ્ધ મતદાન કર્યું હતું.
ગયા વર્ષે પણ, ભારતે 22 વર્ષીય મહસા અમીનીના કસ્ટોડિયલ મૃત્યુ અંગે ઈરાનમાં આંદોલન કરી રહેલા વિરોધીઓ સામે કથિત માનવ અધિકાર ઉલ્લંઘનની તપાસ કરવા માટે ફૈક્ટ-ફાઈનડિંગ મિશન સ્થાપિત કરવા માટે યુએન માનવ અધિકાર પરિષદના ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહ્યું હતું.
2011 માં, ભારતે વોશિંગ્ટનમાં સાઉદી રાજદૂતની હત્યાના કથિત કાવતરાની નિંદા કરતા યુએનના ઠરાવમાંથી પણ દૂર રહ્યું, જેનો આરોપ અમેરિકાએ ઈરાનીનાં કેટલાક લોકો પર લગાવ્યો હતો.
ઈરાન સાથે સદીઓ જૂના સંબંધો
વિદેશ મંત્રાલયે ઈરાન પરના તેના તાજેતરના નિવેદનમાં આ સંબંધનો ચોક્કસ ઉલ્લેખ કર્યો છે. નોંધમાં કહેવામાં આવ્યું છે કે, "ભારત અને ઈરાનનો સદીઓથી ચાલી આવતી આંતરક્રિયા પ્રવૃત્તિઓનો ઇતિહાસ છે. સમકાલીન સંબંધો આ ઐતિહાસિક અને સભ્યતા સંબંધોની મજબૂતાઈ પર આધારિત છે, અને ઉચ્ચ-સ્તરીય આદાનપ્રદાન, વ્યાપારી અને કનેક્ટિવિટી સહયોગ, સાંસ્કૃતિક સંબંધો દ્વારા વધુ મજબૂત બને છે."
વધુમાં, ભારત અને ઈરાન તાલિબાનના સુન્ની ઉગ્રવાદ અને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા અંગે સમાન ચિંતાઓ ધરાવે છે. ભારત અને ઈરાન વચ્ચે રાજદ્વારી સંબંધો 1950 માં સ્થાપિત થયા હતા, પરંતુ એપ્રિલ 2001 માં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા ઈરાનની મુલાકાત લેવામાં આવી અને દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે તેહરાન ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા ત્યારે આ સંબંધોને વેગ મળ્યો.






