ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના નિધનના અહેવાલો બાદ પશ્ચિમ એશિયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત ઓપરેશનના કારણે ઉત્પન્ન થયેલા આ તણાવની સીધી અસર ભારતના મહત્વકાંક્ષી ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર પડી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયાના દેશો સુધી પહોંચવા માટે ભારત માટે આ બંદર એક અત્યંત મહત્વનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. વર્તમાન ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિને જોતા હવે એ સવાલ થઈ રહ્યો છે કે શું ભારતનું અબજો રૂપિયાનું રોકાણ જોખમમાં મુકાશે?
ભારતનું ચાબહારમાં આર્થિક યોગદાન
ભારતે આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે અત્યાર સુધી મોટા પાયે નાણાકીય સહાય અને રોકાણ કર્યું છે. પોર્ટ પર જરૂરી ટર્મિનલ, ક્રેન્સ અને અન્ય ઓપરેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ માટે ભારત તરફથી અંદાજે 120 મિલિયન ડોલર એટલે કે ભારતીય ચલણમાં 1,100 કરોડ રૂપિયાનું રોકાણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
આ પ્રત્યક્ષ રોકાણ ઉપરાંત ભારતે કનેક્ટિવિટી વધારવા અને અફઘાનિસ્તાન સાથેના વ્યાપારિક માર્ગોને મજબૂત કરવા માટે 250 મિલિયન ડોલરની ક્રેડિટ લાઈન પણ જાહેર કરી છે. આ રકમ આશરે 2,100 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આમ જોવા જઈએ તો ભારત આ પ્રોજેક્ટમાં લાંબા ગાળાના હિતો ધરાવે છે.
બજેટ અને વર્તમાન સ્થિતિ
કેન્દ્રીય બજેટ 2026-27 માં ભારત સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે હાલમાં કોઈ નવી રકમ ફાળવવામાં આવી નથી. જોકે અગાઉના નાણાકીય વર્ષના સુધારેલા અંદાજ મુજબ આશરે 400 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. ભારત માટે આ બંદર એટલા માટે મહત્વનું છે કારણ કે તે પાકિસ્તાન પર નિર્ભર રહ્યા વગર મધ્ય એશિયા સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવામાં મદદરૂપ થાય છે. આ સિવાય તે ઈન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) નો પણ એક મહત્વનો હિસ્સો છે.
નેતૃત્વ પરિવર્તન અને પડકારો
ખામેનેઈ બાદ ઈરાનમાં સર્જાનારી સત્તાની શૂન્યતા ચાબહાર પ્રોજેક્ટના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્નો લગાવી શકે છે. વર્ષ 2024 માં ભારતે ઈરાન સાથે 10 વર્ષ માટે ઓપરેટિંગ કોન્ટ્રાક્ટ કર્યો હતો. હવે ઈરાનનું નવું નેતૃત્વ ભારત પ્રત્યે કેવું વલણ રાખે છે તેના પર આ પ્રોજેક્ટની પ્રગતિનો આધાર રહેશે. આ ઉપરાંત અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો પણ ભારત માટે મોટી મુસીબત સાબિત થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર હેઠળ જો પ્રતિબંધો વધુ કડક બને તો ભારતને પોતાના રોકાણ અને વ્યાપારિક પ્રવૃત્તિઓમાં પીછેહઠ કરવાની ફરજ પડી શકે છે.



















