Barrierless Toll: ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઉજવણી વચ્ચે દક્ષિણ ગુજરાતના પ્રવેશદ્વાર સમાન સુરતથી વાહનચાલકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. નેશનલ હાઈવે 48 (NH-48) પર આવેલા ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે ભારતનું સૌપ્રથમ 'બેરિયરલેસ' એટલે કે અવરોધ વગરનું ટોલ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ટોલ નાકા પર ફાસ્ટેગ હોવા છતાં બેરિયર ખુલવાની રાહ જોવી પડતી હતી, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. પરંતુ હવે નવી ટેકનોલોજીના અમલીકરણ સાથે વાહનચાલકોએ ટોલ પર ઉભા રહેવાની જરૂર નહીં પડે.
શું છે બેરિયરલેસ ટોલ પ્લાઝા અને તે કેવી રીતે કામ કરશે?
સામાન્ય રીતે ટોલ પ્લાઝા પર વાહન આવે ત્યારે સેન્સર ફાસ્ટેગ સ્કેન કરે અને ત્યારબાદ લાકડા કે લોખંડનું બેરિયર (દાંડો) ઊંચું થાય છે. આ પ્રક્રિયામાં 5 થી 10 સેકન્ડનો સમય લાગે છે. પરંતુ સુરતના ચોર્યાસી ટોલ પ્લાઝા પર હવે આ બેરિયર હટાવી લેવામાં આવ્યા છે. અહીં અત્યાધુનિક કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે જે વાહન ગતિમાં હોય ત્યારે જ હાઈ-સ્પીડથી ફાસ્ટેગ રીડ કરી લેશે. વાહનચાલકોએ બ્રેક માર્યા વગર સીધા જ પસાર થઈ જવાનું રહેશે અને તેમના ખાતામાંથી આપોઆપ ટોલ કપાઈ જશે.
ટ્રાફિક અને સમયની થશે મોટી બચત
સુરત-નવસારીને જોડતા આ નેશનલ હાઈવે પર રોજના હજારો વાહનો પસાર થાય છે. પીક અવર્સ દરમિયાન અહીં વાહનોની લાંબી કતારો જોવા મળતી હતી. NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ના આ પાયલોટ પ્રોજેક્ટથી ઇંધણની બચત થશે અને મુસાફરીનો સમય પણ ઘટશે. જો વાહનના ફાસ્ટેગમાં બેલેન્સ નહીં હોય અથવા કોઈ ટેકનિકલ ખામી હશે, તો તેના માટે અલગથી લેન અને ચેતવણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સરકારી કર્મચારીઓ પણ નહીં બચી શકે! : આજથી હેલ્મેટ મામલે પોલીસ એક્શન મોડમાં, જાણો શું છે નવો આદેશ
ડિજિટલ ઇન્ડિયા તરફ વધુ એક મજબૂત કદમ
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી લાંબા સમયથી દેશમાં સેટેલાઈટ આધારિત અને બેરિયરલેસ ટોલ સિસ્ટમ લાગુ કરવાની વાત કરી રહ્યા હતા, જેની શરૂઆત હવે ગુજરાતથી થઈ ચૂકી છે. આ સિસ્ટમ સફળ રહ્યા બાદ આગામી સમયમાં દેશના અન્ય વ્યસ્ત હાઈવે પર પણ આ મોડલ લાગુ કરવામાં આવશે. સુરતનું આ ટોલ પ્લાઝા હવે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે.
વાહનચાલકોએ રાખવી પડશે આ સાવચેતી
જોકે બેરિયર નથી એટલે વાહન ગમે તેટલી ઝડપે દોડાવી શકાશે એવું નથી. સેન્સર પ્રોપરલી સ્કેન કરી શકે તે માટે નિર્ધારિત સ્પીડ લિમિટમાં જ વાહન પસાર કરવાનું રહેશે. આ ઉપરાંત, તમારા ફાસ્ટેગ વોલેટમાં પૂરતું બેલેન્સ રાખવું અનિવાર્ય છે જેથી પેનલ્ટીથી બચી શકાય.





