કેન્દ્ર સરકારના એનડીએ ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃ઼ષ્ણનની પસંદગી કર્યા બાદ વિપક્ષે અનેક મથામણોના અંતે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કર્યું છે. I.N.D.I.A ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. જેના પરિણામ તે જ દિવસે જાહેર થશે.
9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને યોજાયેલી વિપક્ષની બેઠકમાં અનેક ચર્ચા-વિચારણાના અંતે બી સુદર્શન રેડ્ડીની પસંદગી કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે, વિપક્ષમાં આ પદ માટે ઉમેદવારની પસંદગી દરમિયાન અનેક મડાગાંઠ સર્જાઈ હોવાના અહેવાલ હતાં. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે જાહેરાત કરતાં કહ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ પદની આ ચૂંટણી એક વૈચારિક લડાઈ છે. વિપક્ષના તમામ દળ આ મામલે સહમત થયા છે. રેડ્ડી 21 ઓગસ્ટના રોજ ઉમેદવારી નોંધાવશે.
કોણ છે બી સુદર્શન રેડ્ડી?
બીએ, એલએલબીની ડિગ્રી ધરાવતા બી સુદર્શન રેડ્ડીનો જન્મ 8 જુલાઈ, 1946ના રોજ થયો હતો. તેઓએ 27 ડિસેમ્બર, 1971માં આંધ્રપ્રદેશના બાર કાઉન્સિલ સાથે હૈદરાબાદમાં વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 2 મે, 1995માં આંધ્રપ્રદેશમાં તેમની કાયમી જજ તરીકે નિમણૂક થઈ હતી. 2005માં તેઓ ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. બાદમાં 12 જાન્યુઆરી, 2007માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ હતી. 8 જુલાઈ, 2011ના રોજ તેઓ નિવૃત્ત થયા હતા.






