Digital Strike on Pakistan: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં હવે ભારતે પાકિસ્તાન સામે ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. પહેલગામ હુમલા બાદ ભારતે મીડિયામાં ભ્રામક માહિતીના પ્રસારને ગંભીરતાથી લેતાં મોદી સરકારે સોમવારે 17 પાકિસ્તાની યુટ્યૂબ ચેનલ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં અનેક ન્યૂઝ ચેનલોની ઓનલાઇન સ્ટ્રીમિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયની ભલામણો બાદ હવે ભારત સરકારે પાકિસ્તાનની ઘણી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો છે.
મહત્ત્વનું છેકે, પહેલગામ આતંકી હુમલાની ઘટનાને ધ્યાનમાં લઈ આજે PM મોદીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે ખાસ બેઠક કરી હતી. લગભગ 40 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં, રક્ષા મંત્રીએ પીએમને સમગ્ર સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પણ પહેલગામ હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છેકે, મોદી સરકાર દ્વારા જે-જે પાકિસ્તાની યૂટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મુક્યો છે તેમાં ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર, આરઝૂ કાઝમી અને સૈયદ મુઝમ્મિલ શાહ જેવી ઘણી મોટી હસ્તીઓની યુટ્યુબ ચેનલોનો પણ સમાવેશ થાય છે. આ સાથે ભારતમાં ઘણા મોટા મિડિયા હાઉસની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મોદી સરકારે કઈ-કઈ યૂટ્યુબ ચેનલ પર મુક્યો પ્રતિબંધ?
પ્રતિબંધિત ચેનલોમાં શોએબ અખ્તર, ડોન ન્યૂઝ, સમા ટીવી અને જીઓ ન્યૂઝ જેવી જાણીતી ચેનલોનો સમાવેશ થાય છે. ભારતીય સરકારના જણાવ્યા અનુસાર, આ ચેનલો ભારત અને તેની સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ખોટા અને દૂષિત સમાચાર ફેલાવી રહી હતી.
સરકાર દ્વારા મળેલી માહિતી અનુસાર, આ પગલું ગૃહ મંત્રાલયની ભલામણ બાદ ભરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા હુમલાની કરાયેલ રિપોર્ટિંગને ધ્યાને લઈ એ સખત કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, BBCને પણ ચેતવણી આપવામાં આવી છે કારણ કે તેમણે રિપોર્ટિંગ દરમિયાન આતંકવાદીઓને 'ઉગ્રવાદીઓ' તરીકે સંબોધ્યા હતા.
જમ્મુ-કશ્મીરમાં એક્શન મોડમાં સુરક્ષા એજન્સીઓઃ
જમ્મુ-કાશ્મીર પોલીસે 15 સ્થળોએ દરોડા પાડી આતંકવાદીઓના ઠેકાણાઓ પર કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા મુખ્યત્વે એવા આતંકવાદી તત્વો પર કરવામાં આવ્યા છે કે જે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK)માંથી સંચાલિત થાય છે અને પહેલગામ હુમલામાં સંડોવાયેલા હોવાની શક્યતા છે.






