India vs New Zealand historic match: રવિવારે ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં ક્રિકેટ પ્રેમીઓને ભારે રોમાંચ જોવા મળ્યો હતો. જોકે, આ મેચ ભારતીય ફેન્સ માટે નિરાશાજનક રહી, કારણ કે ન્યૂઝીલેન્ડે ભારતને 41 રનથી હરાવીને ત્રણ મેચની સિરીઝ 2-1 થી પોતાના નામે કરી લીધી છે.
ન્યૂઝીલેન્ડનો ઐતિહાસિક વિજય
આ જીત ન્યૂઝીલેન્ડ માટે ખાસ છે કારણ કે, તેઓએ પ્રથમ વખત ભારતમાં દ્વિપક્ષીય વનડે સિરીઝ જીતીને ઇતિહાસ રચ્યો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, ટીમમાં કેન વિલિયમસન, રચિન રવિન્દ્ર અને મિશેલ સેન્ટનર જેવા દિગ્ગજ ખેલાડીઓ ગેરહાજર હોવા છતાં, માઈકલ બ્રેસવેલની કેપ્ટનશીપ હેઠળ કિવી ટીમે શાનદાર લડત આપી હતી.
કોહલી-રાણાની શાનદાર પાર્ટનરશીપ
મેચ દરમિયાન એક સમયે ભારત મજબૂત સ્થિતિમાં હતું. વિરાટ કોહલી અને યુવા ખેલાડી હર્ષિત રાણા વચ્ચે 99 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. હર્ષિત રાણા આક્રમક બેટિંગ કરી રહ્યો હતો અને વિરાટ કોહલી મેચને અંત સુધી લઈ જઈ રહ્યો હતો. આ બંનેની રમત જોઈને સ્ટેડિયમમાં બેઠેલા ફેન્સને જીતની પૂરી આશા હતી.
ગૌતમ ગંભીરનો મેસેજ અને મેચમાં થયો બદલાવ
મેચ ત્યારે પલટાઈ જ્યારે ભારતને છેલ્લી 7 ઓવરમાં 68 રનની જરૂર હતી. 42 મી ઓવર પછી હેડ કોચ ગૌતમ ગંભીરએ ધ્રુવ જુરેલ દ્વારા મેદાન પર એક મેસેજ મોકલ્યો હતો. આ મેસેજમાં શું સૂચના હતી તે સ્પષ્ટ નથી, પરંતુ તે પછી તુરંત જ ભારતની લય ખોરવાઈ ગઈ. હર્ષિત રાણા, જેને હજુ હમણાં જ છગ્ગો મારી પોતાની પ્રથમ વનડે ફિફ્ટી પૂરી કરી હતી, તે કેચ આઉટ થઈ ગયો. તેના પછીના જ બોલ પર મોહમ્મદ સિરાજ પણ આઉટ થઈને પેવેલિયન ભેગો થયો.
વિરાટ કોહલીની લડાયક ઇનિંગ
હર્ષિત રાણાના આઉટ થયા બાદ બધું જ દબાણ વિરાટ કોહલી પર આવી ગયું હતું. વિરાટ કોહલીએ એક છેડો સાચવી રાખીને 108 બોલમાં 124 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ બીજા છેડેથી સાથ ન મળવાને કારણે ભારત લક્ષ્યાંક સુધી પહોંચી શક્યું નહીં. વિરાટ કોહલી આઉટ થતાની સાથે જ ભારતની જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું અને ટીમ 41 રનથી મેચ હારી ગઈ.
હર્ષિત રાણા અને વિરાટ કોહલીની શાનદાર બેટિંગ છતાં સિરીઝ ગુમાવી
ગૌતમ ગંભીરની રણનીતિ કે મેસેજ શું હતો તે ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ હકીકત એ છે કે, ન્યૂઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ધરતી પર સિરીઝ જીતવાનું પોતાનું સપનું પૂરું કર્યું છે. ભારત માટે હર્ષિત રાણાની બેટિંગ અને વિરાટ કોહલીનું ફોર્મ હકારાત્મક પાસાં રહ્યા, પરંતુ સિરીઝ ગુમાવવી એ મોટો ઝટકો છે.





















