ભારતભરમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે વધુ સક્રિય બન્યું છે અને તેની અસર દેશના વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે. અનેક રાજ્યોમાં સતત ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 5 જુલાઈના રોજ દેશના 13 રાજ્યો માટે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. મહારાષ્ટ્ર, કેરળ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો તેમજ માછીમારોને વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં નીચા દબાણનું ક્ષેત્ર સક્રિય બન્યું છે. તેના કારણે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને ગુજરાત, સૌરાષ્ટ્ર, કોનકણ, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.
મુંબઈમાં ભારે વરસાદ સાથે હાઈ ટાઈડની ચેતવણી
મુંબઈ માટે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ આજે બપોરે આશરે 3 વાગ્યે અરબી સમુદ્રમાં 4.19 મીટર ઊંચી હાઈ ટાઈડ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદ અને ઊંચા જ્વારના સંયુક્ત પ્રભાવને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમ ઊભું થવાની શક્યતા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ નાગરિકોને બિનજરૂરી રીતે ઘર બહાર ન નીકળવાની અપીલ કરી છે. કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં BMCના હેલ્પલાઇન નંબર 1916 પર સંપર્ક કરવા જણાવાયું છે. માછીમારોને પણ આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: છત્તીસગઢની ધરતીનો અનમોલ કંઠ થંભ્યો : 3 પદ્મ સન્માનોથી અલંકૃત તીજન બાઈએ જગતને કહ્યું અલવિદા
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં 10 જુલાઈ સુધી વરસાદી માહોલ
રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી રુકરુકીને વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 10 જુલાઈ સુધી દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બપોર અને સાંજના સમયે વરસાદ સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પવનના ઝોકા 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, વીજળી પડવાની ઘટના અને તેજ પવનની પણ આગાહી કરવામાં આવી છે.
મધ્ય ભારત અને પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં આગામી પાંચ દિવસ દરમિયાન સારો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે અહીં પણ વાવાઝોડા, વીજળી પડવાની શક્યતા અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. પૂર્વ ભારતના પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, બિહાર તેમજ અંડમાન-નિકોબાર દ્વીપસમૂહમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને ગંગાના મેદાની વિસ્તારો અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ તથા સિક્કિમમાં અતિભારે વરસાદ પડી શકે છે. અનેક જિલ્લાઓમાં પાણી ભરાવા અને નદી-નાળાઓમાં જળસ્તર વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
પૂર્વોત્તર ભારતમાં પણ મેઘરાજાની મહેર
અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને અચાનક પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: ખિસ્સામાં રહેલી નોટનું જાણો છો આ રહસ્ય? : ભારતીય ચલણી નોટ પર લખી હોય છે કેટલી ભાષા, જાણો તેનું કારણ
પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં પણ એલર્ટ
પશ્ચિમ ભારતમાં કોનકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે કેટલાક સ્થળોએ તેની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દક્ષિણ ભારતમાં તટીય આંધ્ર પ્રદેશ, યનમ, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કર્ણાટકના આંતરિક વિસ્તારો, તેલંગાણા, કેરળ, માહે અને લક્ષદ્વીપમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આગામી પાંચ દિવસ સાવચેતી જરૂરી
હવામાન વિભાગના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં સક્રિય બનેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે આગામી પાંચ દિવસ દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહેશે. ભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક પ્રભાવિત થવા અને નદીઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગે નાગરિકોને હવામાન સંબંધિત સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવા, વીજળીના સમયે ખુલ્લા મેદાનોમાં ન જવા અને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપી છે.





