અમેરિકા દ્વારા પનામામાં સ્થળાંતર કરરેલા ડિપોર્ટ થયેલા 12 ભારતીય નાગરિકો રવિવારે સાંજે ભારત પરત ફર્યા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. નવી દિલ્લીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લોકોને સુરક્ષિત લઈ જવામાં આવ્યા. અમેરિકા દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યા બાદ પનામાથી પરત ફરનારા ભારતીયોની આ પ્રથમ બેચ છે.
માનવામાં આવી રહ્યું છે કે આ 12 ભારતીયો એ 299 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સમાં સામેલ છે, જેમને થોડા દિવસો પહેલા અમેરિકાએ પનામા મોકલી દીધા હતા. અત્યાર સુધીમાં 344 NRI ચાર બેચમાં અમેરિકાથી પરત ફર્યા છે. 5 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી અને 16 ફેબ્રુઆરીના રોજ, USAએ 332 લોકોને હાથકડી અને બેડીઓ પહેરાવીને મોકલ્યા હતા.
ગત સપ્તાહે યુ. એસ. એ વિવિધ દેશોમાંથી 299 ઇમિગ્રન્ટ્સને પનામા પરત મોકલ્યા હતા. તેમને પનામામાં આશ્રય આપવામાં આવ્યો હતો, જ્યાં તેઓ બધા એક હોટલમાં હતા. અહીંથી તમામ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને તેમના દેશમાં મોકલવાના હતા. સ્થળાંતર કરનારાઓમાં નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, વિયેતનામ અને ઈરાનના લોકોનો પણ સમાવેશ થાય છે.
અમેરિકા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા માટે પનામાનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઇન્ટ તરીકે કરી રહ્યું છે. તેણે પનામા, ગ્વાટેમાલા અને કોસ્ટા રિકા સાથે પણ કરારો કર્યા છે.





