અમદાવાદ શહેરમાં જાહેર રોડ પર શ્વાનોને ખવડાવવાના મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જાહેર રસ્તાઓ કે સોસાયટીના ગેટ પાસે શ્વાનોને ખવડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને આવા કૃત્ય કરતા પકડાશે તો દંડ ભરવો પડશે.
126 નિર્ધારિત ડોગ ફીડિંગ સેન્ટરો નક્કી કરવામાં આવ્યા
શહેરમાં શ્વાનોને યોગ્ય અને સુરક્ષિત રીતે ખવડાવી શકાય તે માટે AMCના CNCD વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં કુલ 126 નિર્ધારિત ડોગ ફીડિંગ સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે. આ સ્થળો જાહેર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને કોઈ અસર ન થાય તે રીતે પસંદ કરવામાં આવ્યા છે.
...તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે
AMC દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ શહેરમાં નક્કી કરાયેલા સ્થળો સિવાય અન્ય કોઈ જગ્યાએ શ્વાનોને ખવડાવતા પકડાશે, તો આગામી દિવસોમાં તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ નવા નિયમ અંગે લોકોમાં જાગૃતિ લાવવા AMC દ્વારા સોશિયલ મીડિયા તેમજ અન્ય વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને માહિતી આપવામાં આવશે, જેથી નાગરિકો નિયમનું પાલન કરે અને શહેરમાં વ્યવસ્થા તથા સલામતી જળવાઈ રહે.





















