ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં, વાયુસેનાનું એક વિમાન અચાનક હવામાં સંતુલન ગુમાવી બેઠું. શહેરની મધ્યમાં એક તળાવમાં ક્રેશ થયું. આ અકસ્માત કેપી કોલેજની પાછળ થયો. તાલીમાર્થી વિમાન ક્રેશ થતાં જ એક જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
અકસ્માત બાદ આસપાસના વિસ્તારના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિમાન ક્રેશ થાય તે પહેલાં, બે લોકો પેરાશૂટ સાથે કૂદીને તળાવમાં પડી ગયા હતા. સ્થાનિક લોકોએ તેમને બચાવી લીધા હતા.
સ્થાનિક લોકોએ આ ઘટના અંગે પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને SDRF રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, "અમે સ્કૂલ કેમ્પસમાં હતા ત્યારે અમને રોકેટ જેવો અવાજ સંભળાયો. અમે ઘટનાસ્થળે દોડી ગયા અને તળાવમાં બે લોકો ફસાયેલા જોયા. તેમને બચાવી લેવામાં આવ્યા. વિમાન પણ તળાવમાં પડેલું હતું."
વહીવટી ટીમ હાલમાં વિમાનને બહાર કાઢવાનું કામ કરી રહી છે. બેરિકેડ ઉભા કરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
વાયુસેના તરફથી મળેલી પ્રારંભિક માહિતી અનુસાર, વિમાનમાં બે પાઇલટ હતા. તેઓ બહાર નીકળી ગયા, અને બંને પાઇલટ ગંભીર રીતે ઘાયલ થયા નથી. અકસ્માતનું કારણ નક્કી કરવા માટે તપાસ હાથ ધરવામાં આવશે.





















