logo-img
How Can Snakes Survive Without Food For Months Know What Science Says

સાપની ભૂખનું ખુલ્યું રહસ્ય! : સાપ કેવી રીતે મહિનાઓ સુધી ખોરાક વગર રહી શકે છે જીવિત? જાણો શું કહે છે વિજ્ઞાન

સાપની ભૂખનું ખુલ્યું રહસ્ય!
Published by: Offbeat Team
| Last Updated: Feb 06, 2026, 04:00 PM IST

સાપ કુદરતના સૌથી રહસ્યમય અને ચાલાક શિકારીઓમાંના એક છે. આપણે ઘણીવાર જોયું હશે કે સાપ પોતાના કદ કરતા અનેકગણા મોટા પ્રાણીઓ, જેવા કે હરણ કે મગરને ગળી જાય છે. પરંતુ, તેના વિશે સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવી બાબત તેની ભૂખ સહન કરવાની શક્તિ છે. સામાન્ય રીતે માનવી કે અન્ય પ્રાણીઓને થોડા કલાકોમાં જ ભૂખ લાગે છે, જ્યારે સાપ મહિનાઓ સુધી કંઈ પણ ખાધા વગર આરામથી જીવી શકે છે. વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે તાજેતરમાં એક ઊંડું સંશોધન કર્યું છે, જેમાં સાપના ‘ભૂખ પર વિજય’ પાછળનું જિનેટિક રહસ્ય બહાર આવ્યું છે. આ સંશોધન માત્ર સાપો વિશે જ નહીં, પરંતુ ભવિષ્યમાં માનવ સ્વાસ્થ્ય માટે પણ માર્ગદર્શક બની શકે છે.

'ગ્રેલિન' જિનનો અભાવ: સાપને કેમ ભૂખ નથી લાગતી?

‘Open Biology’ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, સાપોના શરીરમાંથી ‘ગ્રેલિન’ (Ghrelin) નામનું જિન સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું છે. વિજ્ઞાનની ભાષામાં ગ્રેલિનને ‘હંગર હોર્મોન’ કહેવામાં આવે છે. આ હોર્મોન જ મગજને સંકેત આપે છે કે પેટ ખાલી છે અને હવે ખાવાનો સમય થયો છે. વૈજ્ઞાનિકોએ સાપ અને કાચબા સહિત 112 જેટલા સરીસૃપોના જિનોમનું વિશ્લેષણ કર્યું ત્યારે માલૂમ પડ્યું કે અજગર અને વાઈપર જેવા સાપોમાં ગ્રેલિન અને તેને સક્રિય કરતું એન્જાઈમ MBOAT4 ગાયબ છે. આ જ મુખ્ય કારણ છે કે સાપને ક્યારેય માણસની જેમ તીવ્ર ભૂખનો અનુભવ થતો નથી.

'સિટ એન્ડ વેઈટ': શિકાર માટેની અનોખી રણનીતિ

વૈજ્ઞાનિકો માને છે કે સાપના શરીરમાં આ પરિવર્તન કુદરતે વિચારીને કર્યું છે. સાપ મોટાભાગે ‘સિટ એન્ડ વેઈટ’ (Sit-and-Wait) ટેકનિકનો ઉપયોગ કરે છે, એટલે કે તેઓ એક જ જગ્યાએ છુપાઈને અઠવાડિયા સુધી શિકારની રાહ જુએ છે. જો તેમને વારંવાર ભૂખ લાગે તો તેઓ શિકારની રાહ જોવામાં ધીરજ ગુમાવી બેસે અને ઉર્જાનો વ્યય કરે. ભૂખનો અહેસાસ ન થવાથી તેઓ ઓછી ઉર્જામાં લાંબો સમય ટકી શકે છે અને જ્યારે શિકાર સામે આવે ત્યારે પૂરી તાકાતથી તેના પર ત્રાટકે છે.

મેટાબોલિક એનર્જીનું કુશળ મેનેજમેન્ટ

સાપ જ્યારે ઉપવાસ (Fast) પર હોય છે, ત્યારે તેઓ પોતાની શારીરિક ઉર્જાનો અત્યંત કરકસરપૂર્વક ઉપયોગ કરે છે. માણસોમાં ઉપવાસ દરમિયાન ફેટ ખૂબ ઝડપથી બર્ન થાય છે, જેના કારણે નબળાઈ અનુભવાય છે. જ્યારે સાપોની મેટાબોલિક સિસ્ટમ એવી રીતે સેટ થયેલી છે કે ભૂખ લાગ્યા વગર પણ તેમનું ઉર્જા સ્તર જળવાઈ રહે છે. તેઓ હલનચલન ઓછું કરીને પોતાની બેઝલ મેટાબોલિક રેટ (BMR) ઘટાડી દે છે.

માનવજાત માટે કેવી રીતે આશીર્વાદરૂપ?

વૈજ્ઞાનિકો હવે આ જ્ઞાનનો ઉપયોગ માનવ મેટાબોલિઝમ સુધારવા માટે કરવા માંગે છે. જો સાપોની આ ટેકનિકને સમજી શકાય, તો ભવિષ્યમાં:

  • મેદસ્વિતા (Obesity): વધુ પડતી ભૂખ પર નિયંત્રણ મેળવવાની નવી દવાઓ શોધી શકાશે.

  • મેટાબોલિક રોગો: શરીરમાં ઉર્જાનું સ્તર જાળવી રાખવા માટે મેડિકલ સાયન્સમાં ક્રાંતિ આવી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now