મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ગંભીર તબક્કે પહોંચ્યો છે. હોર્મુઝ જળમાર્ગ (Hormuz Strait)માં એક વેપારી જહાજ પર હુમલાની ઘટના બાદ પરિસ્થિતિ વધુ વણસી છે. ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા જહાજ પર કાર્યવાહી કરાયા બાદ હોર્મુઝ જળમાર્ગને આગામી સૂચના સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ ઘટનાના જવાબમાં અમેરિકાએ ઈરાનના અનેક સ્થળોને નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા હોવાનું અમેરિકી સૈન્ય સૂત્રોએ જણાવ્યું છે.
આ ઘટનાએ માત્ર મધ્ય પૂર્વમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી છે. કારણ કે હોર્મુઝ જળમાર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વનો સમુદ્રી માર્ગ માનવામાં આવે છે. અહીં કોઈપણ પ્રકારની અસ્થિરતા આંતરરાષ્ટ્રીય તેલ બજાર, ગેસ પુરવઠો અને વૈશ્વિક વેપાર પર સીધી અસર કરી શકે છે.
હોર્મુઝ જળમાર્ગ કેમ છે એટલો મહત્વનો?
હોર્મુઝ જળમાર્ગ પર્શિયન ગલ્ફને ઓમાનની ખાડી અને અરબી સમુદ્ર સાથે જોડે છે. સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત, કુવૈત, ઇરાક અને કતાર જેવા દેશોમાંથી નિકાસ થતું મોટાભાગનું કાચું તેલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) આ જ માર્ગેથી વિશ્વના વિવિધ દેશોમાં પહોંચે છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારના અંદાજ મુજબ વિશ્વના દરરોજના કાચા તેલના સમુદ્રી વેપારમાં આશરે 20 ટકા હિસ્સો આ જળમાર્ગમાંથી પસાર થાય છે. પરિણામે જો આ માર્ગ લાંબા સમય માટે બંધ રહે તો વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં વધારો, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અને અનેક દેશોમાં ઇંધણના ભાવ વધવાની શક્યતા રહે છે.
આ પણ વાંચો: બાવી વાવાઝોડાનો ભયંકર કહેર : ચીન સહિત 4 દેશોમાં તબાહી, લાખો લોકો પર મોટું સંકટ
જહાજ પર હુમલા બાદ વધ્યો વિવાદ
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા મુજબ હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈ રહેલા સાઇપ્રસના ધ્વજ ધરાવતા કન્ટેનર જહાજ M/V G-Flex Galaxy પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ જહાજમાં આગ લાગી અને તેનું એન્જિન બંધ થઈ ગયું હોવાનું જણાવાયું છે. અહેવાલો મુજબ જહાજના કેટલાક ક્રૂ સભ્યોને ઈજા પહોંચી છે અને એક સભ્ય ગુમ હોવાની માહિતી સામે આવી છે. અમેરિકાએ આ ઘટનાને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સુરક્ષા માટે ગંભીર ખતરો ગણાવી ઈરાન સામે સૈન્ય કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું છે. અમેરિકી સૈન્યના જણાવ્યા મુજબ એક સપ્તાહમાં આ ત્રીજો હવાઈ હુમલો છે.
અમેરિકાનો જવાબી હવાઈ હુમલો
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ ઈરાનના દક્ષિણપૂર્વ વિસ્તારમાં આવેલા જાસ્ક, ચાબહાર બંદર અને કેશમ દ્વીપ નજીક હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ હોર્મુઝ જળમાર્ગમાં આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું છે કે જો વેપારી જહાજો પર હુમલાની ઘટનાઓ ચાલુ રહેશે તો ભવિષ્યમાં પણ સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ ઈરાને અમેરિકાના હુમલાને પોતાની સાર્વભૌમત્વ વિરુદ્ધની કાર્યવાહી ગણાવી તેનો વિરોધ નોંધાવ્યો છે.
આ પણ વાંચો: વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી : 15 ભારતીયોના મોતની પુષ્ટિ, મૃતકોની યાદી જાહેર
બંને દેશો વચ્ચે આરોપ-પ્રત્યારોપ
તાજેતરની ઘટનાઓ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી આરોપ-પ્રત્યારોપ શરૂ થયા છે. ઈરાને અમેરિકા પર હોર્મુઝ જળમાર્ગના મુદ્દે દખલગીરી કરવાનો અને મધ્ય પૂર્વમાં પોતાના સહયોગી દેશોના હિતોને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
બીજી તરફ અમેરિકાએ દાવો કર્યો છે કે વેપારી જહાજો પરના હુમલાથી આંતરરાષ્ટ્રીય કરારો અને સમુદ્રી સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું છે. બંને દેશોના નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓએ એકબીજાને કડક ચેતવણીઓ પણ આપી છે, જેના કારણે પ્રદેશમાં તણાવ વધુ વધી શકે છે.





