દક્ષિણ એશિયાના નકશા પર સાંસ્કૃતિક વિવિધતા માટે જાણીતું બાંગ્લાદેશ આજે તેની બદલાતી જતી સામાજિક સંરચનાને કારણે ચર્ચામાં છે. ખાસ કરીને ત્યાંના હિંદુ સમુદાયની સંખ્યામાં જે રીતે સતત ઘટાડો નોંધાયો છે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે. આઝાદી સમયે જે સમુદાય દેશની વસ્તીનો મોટો હિસ્સો હતો, તે આજે ધીમે ધીમે સીમિત થઈ રહ્યો છે. દાયકાઓથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને તાજેતરની હિંસાએ આ સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.
આઝાદી સમયે શું હતી સ્થિતિ?
વર્ષ 1971 માં જ્યારે બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું ત્યારે ત્યાં હિંદુ સમુદાયની સ્થિતિ ઘણી મજબૂત હતી. 1971 ની વસ્તી ગણતરી મુજબ દેશની કુલ વસ્તીના આશરે 22 ટકા હિંદુઓ હતા. જો આપણે ઈતિહાસમાં થોડા વધુ પાછળ જઈએ તો, 1901 માં પૂર્વ બંગાળમાં હિંદુઓની ભાગીદારી લગભગ 33 ટકા જેટલી હતી. શિક્ષણ, વેપાર અને સંસ્કૃતિમાં આ સમુદાયની ભૂમિકા હંમેશા પાયાની રહી હતી.
શા માટે ઘટ્યું વસ્તીનું સંતુલન?
1971નું સ્વાતંત્ર્ય સંગ્રામ બાંગ્લાદેશના ઈતિહાસનો સૌથી મોટો વળાંક સાબિત થયો. હિંસા, અસુરક્ષા અને અનિશ્ચિત ભવિષ્યના ડરને કારણે લાખો હિંદુઓએ ભારત સહિત અન્ય દેશોમાં સ્થળાંતર કરવું પડ્યું હતું. આઝાદી બાદ પણ સમયાંતરે સર્જાયેલા સામાજિક તણાવ અને રાજકીય અસ્થિરતાએ આ પલાયનને રોકવાને બદલે તેને વેગ આપ્યો હતો.
વસ્તીના ચોંકાવનારા આંકડા
બાંગ્લાદેશમાં હિંદુ વસ્તીના ઘટાડાની ગાથા સરકારી આંકડાઓ જ સ્પષ્ટ કરે છે:
1974: વસ્તી ઘટીને 13.5 ટકા થઈ.
1991: આ આંકડો વધુ ઘટીને 10.5 ટકા પર પહોંચ્યો.
2011: હિંદુઓની ભાગીદારી માત્ર 8.5 ટકા રહી ગઈ.
2022: તાજેતરની વસ્તી ગણતરી મુજબ હવે માત્ર 7.95 ટકા હિંદુઓ બચ્યા છે. સંખ્યાની દૃષ્ટિએ જોકે આ આંકડો 1 કરોડ 30 લાખની આસપાસ થાય છે, પરંતુ ટકાવારીમાં સતત થઈ રહેલો ઘટાડો ચિંતાજનક છે.
2024ની હિંસા અને વર્તમાન પડકારો
જુલાઈ અને ઓગસ્ટ 2024 દરમિયાન બાંગ્લાદેશમાં થયેલા હિંસક આંદોલનોએ ફરી એકવાર અલ્પસંખ્યકોની સુરક્ષા પર સવાલ ઉભા કર્યા છે. શેખ હસીના સરકારના પતન બાદ સર્જાયેલી અરાજકતામાં હિંદુ સમુદાય પર હુમલાની ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને ઈસ્લામી સંગઠનોની વધેલી સક્રિયતા અને યુવા નેતા ઉસ્માન હાદીની હત્યા જેવી ઘટનાઓએ ભયનો માહોલ પેદા કર્યો છે.
આજે પણ ગોપાલગંજ, સિલહટ અને ઠાકુરગાંવ જેવા વિસ્તારોમાં હિંદુઓની વસ્તી નોંધપાત્ર છે, પરંતુ સમગ્ર દેશના પરિપ્રેક્ષ્યમાં તેમની સ્થિતિ નબળી પડી રહી છે. આશરે 17 કરોડની વસ્તી ધરાવતા આ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં હિંદુઓ બીજા ક્રમનો સૌથી મોટો ધાર્મિક સમુદાય છે, છતાં સુરક્ષા અને સમાન તકોના અભાવે પલાયન ચાલુ જ છે.





















