હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પરિણીત મહિલાઓને ઘરની લક્ષ્મીનું બિરુદ આપવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતા વ્રત, ઉપવાસ અને પુણ્ય કર્મોનું ફળ સમગ્ર પરિવારને પ્રાપ્ત થાય છે. જોકે, જાણતા અજાણતા થતી નાની ભૂલો ક્યારેક જીવનમાં આર્થિક કે સામાજિક મુશ્કેલીઓ લાવી શકે છે. શાસ્ત્રોમાં સૌભાગ્યવતી મહિલાઓ માટે કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી ઘરમાં બરકત અને ખુશહાલી જળવાઈ રહે છે.
બંને હાથે દાન કરવાની પરંપરા
દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ દાન અને પુણ્ય કરવું જોઈએ. પરંતુ પરિણીત મહિલાઓ માટે નિયમ છે કે જ્યારે પણ કોઈને કોઈ વસ્તુની ભેટ કે દાન આપે ત્યારે હંમેશા બંને હાથનો ઉપયોગ કરવો જોઈએ. એક હાથે આપવા કરતા બંને હાથે આપેલું દાન શ્રેષ્ઠ મનાય છે અને તેનાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે.
ભીના વાળમાં સિંદૂર લગાવવાનું ટાળો
સ્નાન કર્યા બાદ તરત જ ભીના વાળમાં સિંદૂર ન લગાવવું જોઈએ. ધાર્મિક દૃષ્ટિકોણથી ભીના વાળમાં સેંથો ભરવો અશુભ ગણાય છે. આ ઉપરાંત પૂજા કે કોઈપણ ધાર્મિક વિધિ કરતી વખતે સ્ત્રીઓએ પોતાના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ, તેને બાંધીને રાખવા જ યોગ્ય મનાય છે.
સુહાગની વસ્તુઓની વહેંચણી ના કરો
કાચની બંગડીઓ, બિંદી અને સિંદૂર જેવી સૌભાગ્યની વસ્તુઓ ક્યારેય અન્ય કોઈ મહિલા સાથે શેર ન કરવી જોઈએ. પોતાની પર્સનલ સુહાગની સામગ્રી કોઈને વાપરવા આપવી કે ઉધાર આપવી તે વૈવાહિક જીવન માટે શુભ સંકેત માનવામાં આવતો નથી. આમ કરવાથી સૌભાગ્યમાં ઘટાડો થતો હોવાનું મનાય છે.
ઉપવાસ દરમિયાન અન્ન અને જળના નિયમો
જ્યારે પણ કોઈ સ્ત્રી વ્રત કે ઉપવાસ રાખે ત્યારે બીજાના ઘરનું અન્ન કે જળ ગ્રહણ કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ઉપવાસના દિવસે વારંવાર પાણી પીવું પણ યોગ્ય નથી. વ્રતની શુદ્ધતા જાળવી રાખવા માટે પોતાના ઘરના સંસાધનોનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.
મીઠું અને તલના લેણ-દેણમાં સાવધાની
શાસ્ત્રો અનુસાર સૌભાગ્યવતી સ્ત્રીઓએ ક્યારેય અન્ય કોઈના ઘરનું મીઠું કે તલ મફતમાં ન લેવા જોઈએ. આ બે વસ્તુઓનો લેણ-દેણ કરવો કે મફતમાં તેનું સેવન કરવું તે અશુભ ગણવામાં આવે છે. ઘરની બરકત જાળવી રાખવા માટે આ નાની પણ મહત્વની બાબતોનું પાલન કરવું જોઈએ.





















