તમિલનાડુના ચેન્નાઈથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 34 વર્ષીય હોમિયોપેથી ડોક્ટર સેમ્યુઅલ એબેનેઝર સંપથે તેની 37 વર્ષની ગર્લફ્રેન્ડ સિન્થિયાની હત્યા કરી નાખી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે સિન્થિયાના પિતા સેમ્યુઅલ શંકરના મૃત્યુ બાદ બંને વચ્ચે વિવાદ થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિન્થિયાએ તેના પિતાના મૃત્યુ માટે સંપતને જવાબદાર ગણાવ્યો હતો, ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લડાઈ દરમિયાન સંપતે સિન્થિયાને ધક્કો માર્યો, જેના કારણે તે બેભાન થઈ ગઈ અને બાદમાં તેનું મોત થઈ ગયું.
મૃત્યુ બાદ આરોપી સંપતે પોલીસથી બચવા માટે તેની પ્રેમિકા અને તેના પિતાના મૃતદેહોને ચાર મહિના સુધી તેના ફ્લેટમાં રાખ્યા હતા. મૃતદેહોમાંથી આવતી વાસને છુપાવવા માટે તેણે કેટલાક કેમિકલનો પણ ઉપયોગ કર્યો અને ફ્લેટમાં AC ચાલુ કર્યા બાદ તે કાંચીપુરમમાં તેના સંબંધીઓ પાસે ગયો. આ દરમિયાન બંનેના મૃતદેહ એપાર્ટમેન્ટમાં પડ્યા હતા.
પાડોશીની ફરિયાદ બાદ ખુલાસો થયો
ગુરુવારે એટલે કે 30 જાન્યુઆરીએ, મૃતદેહોમાંથી નીકળતી દુર્ગંધ પડોશીઓને આવી. દુર્ગંધ એટલી વધી ગઈ હતી કે પડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ફ્લેટ ખોલ્યો અને અંદરથી બે મૃતદેહો બહાર કાઢ્યા જે સડવા લાગ્યા હતા. પોલીસે આરોપી સેમ્યુઅલ એબેનેઝર સંપતની ધરપકડ કરી છે અને આ કેસની સઘન તપાસ શરૂ કરી છે.
સંપત અને સિન્થિયા સોશિયલ મીડિયા પર મળ્યા
પોલીસે જણાવ્યું હતું કે સેમ્યુઅલ એબેનેઝર ઓસ્ટ્રિયાનો છે અને તે સપ્ટેમ્બર 2024થી ચેન્નાઈના થિરુમુલ્લાઇવોયલમાં એક એપાર્ટમેન્ટમાં સિન્થિયા અને તેના પિતા સાથે રહેતો હતો. સિન્થિયા અને સંપતની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી અને તે તેના પિતાની સારવાર માટે ચેન્નાઈમાં રહેતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, શંકરના મોત બાદ જે વિવાદ સર્જાયો હતો તેના કારણે આ હિંસક ઘટના બની હતી.





