ઉત્તરાખંડના પવિત્ર ચારધામ યાત્રા માર્ગ પર ગંગોત્રી ધામ નજીક ગુરુવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 5 યાત્રાળુઓના કરુણ મોત થયા છે, જ્યારે અન્ય 2 યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર ખાનગી એર લાઈન્સ કંપની ‘એરો ટ્રિંક’નું હતું. તે દહેરાદૂનથી યાત્રાળુઓને લઈને ખરસલી તરફ જઈ રહ્યું હતું. યાત્રાળુઓ ચારધામ યાત્રા હેઠળ ગંગોત્રી ધામ જવા માટે રવાના થયા હતા.
દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં કુલ 7 મુસાફરો હાજર હતા. સ્થળ પર તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે।
ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન ખરાબ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાન, વરસાદ અને કરા પડવાની ચેતવણી પણ આપી હતી. ચારધામ યાત્રા રૂટ પર હળવો વરસાદ અને ગાજવીજ સાથે કરા પડવાની ઘટનાઓ નોંધાઈ રહી છે, જે હવાઈ પ્રવાસ માટે જોખમરૂપ બની રહી છે.
રાજ્ય સરકાર તરફથી ઘટના અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. ઘટના સ્થળે જિલ્લા પ્રશાસન અને એર ટ્રાફિક કન્ટ્રોલ દ્વારા એક પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. હેલિકોપ્ટર દુર્ઘટનાના ચોક્કસ કારણો વિશે વધુ માહિતી સરકાર દ્વારા તપાસ પછી આપવામાં આવશે.





