આપણું પરંપરાગત ભારતીય ભોજન રોટલી વિના પૂરું નથી ગણાતું. વર્ષોથી આપણા રસોડામાં ઘઉંની રોટલીનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી લોકોમાં 'મિલેટ્સ' (જાડા ધાન) પ્રત્યે જાગૃતિ વધી છે. વધતા વજન અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓને કારણે હવે લોકો ફરીથી બાજરી તરફ વળી રહ્યા છે. ખાસ કરીને શિયાળામાં બાજરીનો રોટલો ખાવાની પરંપરા રહી છે. પરંતુ જ્યારે સવાલ વજન ઘટાડવાનો (Weight Loss) હોય, ત્યારે લોકો અવારનવાર મૂંઝવણમાં મુકાઈ જાય છે કે ઘઉં શ્રેષ્ઠ છે કે બાજરી? ઘઉંની રોટલી હલકી અને પચવામાં સરળ હોય છે, જ્યારે બાજરી પોષક તત્વોનો ખજાનો ગણાય છે. આ બંનેમાં રહેલા ફાઈબર, પ્રોટીન અને કાર્બ્સના તફાવતને સમજીને તમે તમારા ડાયટ માટે યોગ્ય નિર્ણય લઈ શકો છો.
ફાઈબરનું પ્રમાણ: કોણ છે વિજેતા?
વજન ઘટાડવા માટે ફાઈબર સૌથી મહત્વનું છે. એક ઘઉંની રોટલીમાં અંદાજે 2.5 ગ્રામ ફાઈબર હોય છે, જ્યારે બાજરીની રોટલીમાં 3.2 ગ્રામ ફાઈબર જોવા મળે છે. વધુ ફાઈબર હોવાને કારણે બાજરી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જેનાથી આપણને વારંવાર ભૂખ લાગતી નથી અને બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે.
પ્રોટીન અને મસલ્સ બિલ્ડિંગ
જો તમે જીમ જાવ છો અથવા સ્નાયુઓ મજબૂત કરવા માંગો છો, તો બાજરી વધુ ફાયદાકારક છે. બાજરીની એક રોટલીમાં 3.3 ગ્રામ પ્રોટીન હોય છે, જ્યારે ઘઉંમાં તે 2.6 ગ્રામ જેટલું હોય છે. પ્રોટીન શરીરના કોષોના રીપેરીંગ અને હાડકાંના વિકાસ માટે અનિવાર્ય છે.
આયર્નની શક્તિ: એનીમિયાથી બચાવ
લોહીની ઉણપ દૂર કરવા માટે બાજરી ઉત્તમ છે. બાજરીની એક રોટલીમાંથી 2.1 mg આયર્ન મળે છે, જે ઘઉંની રોટલી (1.1 mg) કરતા બમણું છે. આયર્ન વધવાથી શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ સુધરે છે અને થાક ઓછો લાગે છે.
કાર્બોહાઈડ્રેટ્સ અને એનર્જી
જે લોકો 'લો-કાર્બ ડાયટ' ફોલો કરે છે, તેમના માટે ઘઉં થોડો સારો વિકલ્પ હોઈ શકે છે. ઘઉંની રોટલીમાં 15.7 ગ્રામ કાર્બ્સ હોય છે, જ્યારે બાજરીમાં 19.1 ગ્રામ કાર્બ્સ હોય છે. જોકે બાજરીના કાર્બ્સ 'કોમ્પ્લેક્સ' હોય છે, જે ધીમે ધીમે એનર્જી આપે છે.
ઋતુ પ્રમાણે શું ખાવું જોઈએ?
નિષ્ણાતોના મતે, ઘઉંની રોટલી આખું વર્ષ ખાઈ શકાય છે કારણ કે તે પચવામાં હળવી છે. પરંતુ બાજરીની તાસીર ગરમ હોય છે, તેથી ઉનાળામાં તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. શિયાળામાં બાજરીનો રોટલો અમૃત સમાન છે, જે શરીરને અંદરથી ગરમી આપે છે.





















