Surat Civil Hospital: ગુજરાતના શિક્ષણ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આજે સુરત સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત લેતા હોસ્પિટલ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સામાન્ય રીતે મંત્રીઓની મુલાકાત પૂર્વ નિર્ધારિત હોય છે, પરંતુ પ્રફુલ પાનસેરીયાએ કોઈ પણ જાણ કર્યા વગર હોસ્પિટલના વોર્ડમાં પહોંચી જઈને તંત્રની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન મંત્રીએ સિવિલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી અને ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓ તથા તેમના સ્વજનો સાથે સીધી વાતચીત કરીને મળતી સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા.
સિવિલના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક અને સ્થળ પર તપાસ
આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં નાની-મોટી સમસ્યાઓના ત્વરિત ઉકેલ માટે સિવિલના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે બ્લડ કલેક્શન સેન્ટર, વોર્ડ અને વેઇટિંગ એરિયામાં જઈને સફાઈ તેમજ દવાઓની ઉપલબ્ધતાની તપાસ કરી હતી. મંત્રીએ અધિકારીઓને કડક સૂચના આપી હતી કે, દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી પડવી જોઈએ નહીં અને તમામ સુવિધાઓ સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવું.
ગર્ભમાં દીકરીઓની હત્યા કરનારા 'મોતના સોદાગર' ફાર્માસિસ્ટની ધરપકડ: ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી ફેલાયેલું હતું નેટવર્ક
ઉનાળાની ગરમી અને પાણીજન્ય રોગો સામે તંત્ર સજ્જ
હાલમાં વધી રહેલા તાપમાન અને ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને મંત્રીએ ખાસ સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી છે, ત્યારે હીટવેવ અને પાણીજન્ય રોગોના દર્દીઓમાં વધારો થઈ શકે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત સિવિલ સહિત રાજ્યની તમામ હોસ્પિટલો, PHC અને CHC કેન્દ્રોને સજ્જ કરવામાં આવ્યા છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની સુવિધા પણ સતર્ક કરી દેવાઈ છે."

બર્ડ ફ્લૂ અંગે મંત્રીની સ્પષ્ટતા: ગભરાવાની જરૂર નથી
પડોશી રાજ્ય મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂના કેસો સામે આવતા મંત્રીએ ગુજરાતની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી હતી. પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, "ગુજરાતમાં અત્યાર સુધી બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી, તેથી જનતાએ ગભરાવાની જરૂર નથી. જોકે, સાવચેતીના ભાગરૂપે મહારાષ્ટ્ર સરહદને અડીને આવેલા 10 કિમીના વિસ્તારના ગામડાઓ અને પોલ્ટ્રી ફાર્મમાં ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પશુપાલન અને આરોગ્ય વિભાગની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે."
માણસ છે કે રાક્ષસ! રામગોપાલ 15 હજારમાં કરી આપતો હતો ગર્ભપાત: ઘરે આવી કરતો ગર્ભ પરીક્ષણ, સુરતમાં ‘મમતા’ના નામે ચાલતી હતી કતલની હાટડી
લોકહિત માટે સતત પ્રયત્નશીલ રહેવા સૂચના
મંત્રીએ મુલાકાતના અંતે સિવિલના સ્ટાફને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ એ સેવાનું કાર્ય છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર વિનામૂલ્યે મળી રહે. કોઈપણ ટેકનિકલ ખામી કે વહીવટી પ્રશ્નો હોય તો તેનો ત્વરિત નિકાલ લાવવા માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે.





