Gautam Gambhir: મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાને 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ અપાવ્યો છે. ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે પણ કોઈ પણ ટીમ મોટું ટાઈટલ જીતે છે ત્યારે ખેલાડીઓ કે કોચ આરામ પર ધ્યાન આપે છે. પરંતુ આ મામલે ગંભીરની વિચારસરણી થોડી અલગ છે.
ગંભીર હવે થોડા દિવસોનો વિરામ લેશે અને IPL 2025 પછી શરૂ થનારી ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારીઓ શરૂ કરશે. જૂનના ત્રીજા સપ્તાહથી, ભારતે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણી રમવાની છે, જે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવી સાઈકલનો ભાગ હશે. આ શ્રેણીની તૈયારી માટે ગંભીર ભારત 'A' સાથે ઈંગ્લેન્ડ જઈ રહ્યા છે.
ભારત 'A' ટીમ સાથે ઈંગ્લેન્ડ જશે ગંભીર
આ પ્રથમ વખત હશે જ્યારે સિનિયર ટીમના મુખ્ય કોચ ભારત 'A' ટીમ સાથે પ્રવાસ પર જશે. 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા' અનુસાર, ગંભીર રિઝર્વ પૂલ વિશે સ્પષ્ટ માહિતી મેળવવા માટે ઈન્ડિયા 'A' ટીમની સાથે જશે. કહેવામાં આવી રહ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ મુખ્ય કોચ ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ વાઈલ્ડ કાર્ડ ખેલાડીઓ પર વિશ્વાસ જાળવી રાખે તેવી શક્યતા છે.
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે, 'ગંભીર ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદથી બીસીસીઆઈ સાથે ચર્ચામાં છે. તેમણે રિઝર્વ પૂલની સ્પષ્ટ સમજ મેળવવા માટે ભારત 'A' ટીમ સાથે પ્રવાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ભારત 'A'ના વધુ પ્રવાસ ઈચ્છે છે કોચ
સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે ગંભીર, મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને NCA ચીફ વીવીએસ લક્ષ્મણે ભારત 'A' પ્રવાસની પુન: શરૂઆતને મહત્વનો મુદ્દો ગણાવ્યો છે. તમને જણાવી દઈએ કે દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા પછી આવા પ્રવાસો બહુ ઓછા થયા છે અને તે કોઈ મહત્વપૂર્ણ શ્રેણી પહેલા જ નક્કી કરવામાં આવ્યા છે. આની જરૂરિયાત એટલા માટે અનુભવાઈ રહી છે કારણ કે ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ મેચોમાં કેટલાક ખેલાડીઓ પર વધુ પડતી નિર્ભર છે.





















