Ambaji Puja Court Verdict : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રિની આઠમના દિવસે થતી વિશેષ પૂજા અને દર્શન અંગે હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટના હુકમ મુજબ હવે નવરાત્રિની આઠમના દિવસે થતી પૂજા અને દર્શનનો વિશેષાધિકાર માત્ર દાંતા મહારાજા અને તેમના વંશજો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ સામાન્ય ભક્તો પણ આ દિવસે પૂજા અને દર્શનનો લાભ લઈ શકશે.
આઠમના દિવસે રાજવી પરિવારને મળતો વિશેષ અધિકાર
આ નિર્ણય સાથે અંબાજી મંદિરની સ્થાપના પછીનો અત્યાર સુધીનો સૌથી મહત્ત્વનો ફેરફાર ગણવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી પરંપરાગત રીતે નવરાત્રિની આઠમના દિવસે હવન, આરતી અને વિશેષ પૂજાનો પ્રથમ અધિકાર દાંતા રાજ્યના રાજવી પરિવારને મળતો હતો, જેના કારણે આ દિવસે મંદિર વ્યવસ્થામાં રાજવી પરિવારની હાજરી અનિવાર્ય માનવામાં આવતી હતી.
દાયકાઓથી ચાલી રહેલી કાનૂની લડાઈનો અંત
બનાસકાંઠાના દાંતા રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે આ મુદ્દે છેલ્લા અનેક દાયકાઓથી કાનૂની લડાઈ ચાલી રહી હતી. રાજવી પરિવારનો દાવો હતો કે રાજાશાહી સમયથી ચાલી આવતી પરંપરા મુજબ આઠમની પલ્લી, હવન પૂજા અને આરતીનો પ્રથમ હક તેમનો છે અને તે તેમનો ધાર્મિક તથા કાનૂની અધિકાર છે.
હાઈકોર્ટે ચુકાદા આપ્યો
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, અંબાજી મંદિર હવે એક જાહેર મંદિર છે અને પબ્લિક ટ્રસ્ટ તરીકે સરકારના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. આવા જાહેર મંદિરમાં તમામ શ્રદ્ધાળુઓ સમાન છે અને કોઈને વિશેષાધિકાર આપી શકાય નહીં. કોર્ટે પોતાના ચુકાદામાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “રાજાશાહીના સમયના હકો અને વિશેષાધિકારોને લોકશાહી શાસન વ્યવસ્થામાં કાયમી રીતે ચાલુ રાખી શકાય નહીં', કોર્ટે વધુમાં કહ્યું કે 'જાહેર મંદિરમાં પૂજા અને દર્શનનો અધિકાર દરેક ભક્તને સમાન રીતે મળવો જોઈએ'.





















