તમારા આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટેની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે. શુક્રવારે સાંજે હલવા સમારોહની સાથે, નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશની અપેક્ષાઓની બજેટ બુક તૈયાર કરવાનો સંકેત આપ્યો છે. 1 ફેબ્રુઆરીએ સંસદમાં નાણામંત્રીના સંબોધનમાં ખબર પડશે કે બજેટને લઈને દેશવાસીઓના સપનામાં જે અપેક્ષાઓનાં વાદળો હતા, તે વરસ્યા કે ત્રાટક્યા. આગામી બજેટ મોંઘવારી, ગગડતો રૂપિયો, શેરબજાર સહિત પર કેટલો અંકુશમાં રાખશે અને દેશની અર્થવ્યવસ્થાને કેટલી મજબૂત બનાવશે તે 1 ફેબ્રુઆરીએ જ ખબર પડશે.
શા માટે થાય છે હલવા સેરેમની?
ભારતીય પરંપરામાં હલવો ખાવો એ સારો પ્રસંગ માનવામાં આવે છે. તેથી, બજેટ સંપૂર્ણપણે તૈયાર થયા પછી, કેન્દ્રીય નાણા મંત્રાલયમાં હલવો તૈયાર કરવામાં આવે છે અને બજેટ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓમાં વહેંચવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં કેન્દ્રીય નાણામંત્રી અને કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પણ ભાગ લે છે. PTIના અહેવાલ અનુસાર, શુક્રવારે હલવા સમારોહની સાથે નિર્મલા સીતારમણે બજેટ પ્રિન્ટિંગ પ્રેસની પણ મુલાકાત લીધી અને અધિકારીઓને શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી, નાણા સચિવ તુહિન કાંત પાંડે અને આર્થિક બાબતોના સચિવ અજય સેઠ પણ હાજર હતા.
બજેટ સાથે સંકળાયેલા અધિકારીઓ એક સપ્તાહ સુધી અંડર ગ્રાઉન્ડ
1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણના સંબોધનના અંત સુધી બજેટ સાથે જોડાયેલા અધિકારીઓ બહારની દુનિયાથી દૂર થઈ જશે. તેમનું ઘર નોર્થ બ્લોકના ભોંયરામાં જ હશે. ત્યાંથી તેઓ ન તો બહાર જઈ શકશે અને ન તો અન્ય કોઈ સંચાર માધ્યમ દ્વારા સંપર્ક કરી શકશે. તેનો હેતુ બજેટની ગોપનિયતા જાળવવાનો છે. બજેટમાં એવી ઘણી માહિતી છે, જેને જાણીને ખોટી રીતે ફાયદો ઉઠાવી શકાય છે અથવા તો અર્થવ્યવસ્થાને નુકસાન પણ થઈ શકે છે.




















