ઉત્તર પ્રદેશ અને દિલ્હીની જેમ હવે રાજસ્થાનમાં પણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને પુનર્જીવિત કરવા માટે સ્થળોના નામ બદલવાનો સિલસિલો શરૂ થયો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વિનિયોગ વિધેયક પરની ચર્ચા દરમિયાન વહીવટી અને રાજકીય દાવ ખેલતા રાજ્યના ત્રણ મુખ્ય સ્થળોના નામ બદલવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પાછળ સ્થાનિક જનભાવના અને ઐતિહાસિક તથ્યોને આધાર બનાવવામાં આવ્યા છે. સરકારનું માનવું છે કે નવા નામોથી આ વિસ્તારોની પ્રાચીન ઓળખ ફરી સ્થાપિત થશે અને સ્થાનિક સાંસ્કૃતિક વારસાને મજબૂતી મળશે.
રાજસ્થાનના કયા શહેરોના નામ બદલાયા?
મુખ્યમંત્રીના આદેશ બાદ હવે રાજસ્થાનના આ ત્રણ સ્થળો નવી ઓળખ સાથે ઓળખાશે:
માઉન્ટ આબુ: હવે 'આબુરાજ' તરીકે ઓળખાશે.
કામૌ (Kaaman): હવે 'કામવન' તરીકે ઓળખાશે.
જહાજપુર: હવે 'યજ્ઞપુર' તરીકે ઓળખાશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસ માટે મોટી ફાળવણી
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વિનિયોગ વિધેયક પરની ચર્ચા દરમિયાન રાજ્યના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વની જાહેરાતો કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી સુવિધાઓને વેગ આપવા માટે જયપુર મેટ્રોના વિસ્તરણ માટે રૂ. 13,000 કરોડના ખર્ચે 42.80 કિમી લાંબી મેટ્રો લાઇનનું કામ ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ, જાહેર પરિવહન સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે રોડવેઝમાં 300 નવી બસોની ખરીદી કરવામાં આવશે. રાજ્યના રસ્તાઓના નેટવર્કને સુધારવા માટે મિસિંગ લિંક રસ્તાઓના સમારકામ હેતુ રૂ. 500 કરોડની વધારાની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે શહેરોમાં વીજળીના તારને અંડરગ્રાઉન્ડ કરવા માટે રૂ. 100 કરોડ ફાળવવામાં આવ્યા છે.
ખેડૂતો અને ગ્રામીણ વિકાસ માટે પ્રોત્સાહન
ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે સરકાર દ્વારા મોટા પ્રોત્સાહનોની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે ઘઉંના MSP પર પ્રતિ ક્વિન્ટલ રૂ. 150નું બોનસ જાહેર કરાયું છે, જેના કારણે હવે ઘઉંની ખરીદી રૂ. 2,735 પ્રતિ ક્વિન્ટલના ભાવે થશે. ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભરતા લાવવા માટે તમામ ખેડૂતો માટે સોલર પ્લાન્ટ સ્થાપવા હેતુ લેન્ડ યુઝ ચેન્જ (NA) ની પ્રક્રિયા હવે સ્થાનિક સ્તરે જ થઈ શકશે, જે એક મોટો વહીવટી સુધારો છે. ઉપરાંત, ગ્રામીણ વિકાસના કામોને વેગ આપવા માટે પંચાયતોને રૂ. 9,200 કરોડની માતબર ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
રોજગાર અને પેન્શન યોજનામાં વધારો
યુવા રોજગાર અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે પણ સરકારે મહત્વના નિર્ણયો લીધા છે. રાજ્યમાં 4 લાખ સરકારી ભરતીઓના સંકલ્પને પૂર્ણ કરવાના ભાગરૂપે, હવે 1.25 લાખ પદો પર ભરતી માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવશે, જેમાં અગાઉના લક્ષ્યાંક કરતા 25,000 પદોનો વધારો કરવામાં આવ્યો છે. યુવાનોમાં કૌશલ્ય વર્ધન માટે જયપુરમાં રૂ. 450 કરોડના ખર્ચે 'અટલ બિહારી વાજપેયી ગ્લોબલ સ્કીલિંગ સેન્ટર' સ્થાપવામાં આવશે. આદિવાસી યુવાનોને પ્રોત્સાહન આપવા માટે 5,000 યુવાનોને સ્વરોજગાર હેતુ વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. સામાજિક સુરક્ષાના ભાગરૂપે, 60 વર્ષથી વધુ વયના પત્રકારોને રૂ. 18,000 અને વિધવાઓને રૂ. 9,000 માસિક પેન્શન આપવાની જાહેરાત કરાઈ છે.
કેમ બદલ્યા નામ
સરકારનું કહેવું છે કે રાજસ્થાનના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અને પ્રોત્સાહન આપવા માટે નામ બદલવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભજનલાલે આ નામ બદલવા વિશે કહ્યું કે આ નિર્ણય સ્થાનિક જનભાવનાઓ અને ઐતિહાસિક તથ્યોને ધ્યાનમાં રાખીને લેવાયો છે. જેના દ્વારા વિસ્તારોની પ્રાચીન ઓળખને જીવિત કરવાનો પ્રયત્ન કરાયો છે. અત્રે જણાવવાનું કે માઉન્ટ આબુને એક પવિત્ર સ્થળ તરીકે ઓળખ અપાવવા માટે આબૂ રાજ કે અબૂરાજ તીર્થ નામનો પ્રસ્તાવ સ્થાનિકો દ્વારા મળ્યો હતો.
કેરળનું પણ નામ બદલાયું
અત્રે જણાવવાનું કે રાજસ્થાનના જ 3 જગ્યાઓના નામ બદલાયા છે એવું નથી. હાલમાં જ દક્ષિણ ભારતીય રાજ્ય કેરળનું પણ નામ બદલાયું. કેન્દ્રીય મંત્રીમંડળે કેરળનું નામ બદલીને કેરળમ કરવાના રાજ્ય સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. નામ વિશે વાત કરીએ તો મલયાલમમાં કેરાનો અર્થ એટલે નારિયેળનું ઝાડ એમ થાય અને અલમ એટલે ભૂમિ. આમ કેરળમ એટલે નારિયેળના વૃક્ષોની જમીન એમ થાય. આ નામથી રાજ્યની ઓળખ ફલિત થાય એવું લાગે છે.
બીજી કઈ કઈ જગ્યાઓના નામ બદલાયા
આ સિવાય ભાજપ શાસિત રાજ્યોમાં સતત નામ બદલવાની પ્રક્રિયા ચાલુ જ છે. આ સિવાય દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ અનેક જગ્યાઓના નામ બદલાયા છે. દિલ્હીમાં મેટ્રો સ્ટેશનોના નામ બદલ્યા.




















