Gujarat edible oil: મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં વધી રહેલા સૈન્ય તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઈન પર પડેલી નકારાત્મક અસરો હવે સીધી સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી ગઈ છે. દેશમાં ઈંધણ એટલે કે પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા બાદ હવે ગૃહિણીઓનું બજેટ ખોરવવા માટે ખાદ્યતેલોના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. સૌરાષ્ટ્રના મુખ્ય તેલ બજાર ગણાતા રાજકોટમાં આજે ફરી સિંગતેલ સહિતના તમામ મુખ્ય ખાદ્યતેલોના ભાવમાં ઝીંકાયેલા વધારાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોની ચિંતામાં ધરખમ વધારો થયો છે.
સ્થાનિક બજારના હોલસેલ વેપારીઓના જણાવ્યા અનુસાર, સિંગતેલના ડબ્બાના ભાવમાં આજે વધુ રૂ. 10નો વધારો ઝીંકાયો છે, જેને પગલે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2800ની ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે. માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ ગુજરાતના ઘરોમાં સૌથી વધુ વપરાતા કપાસિયા તેલ અને હોટલ-રેસ્ટોરન્ટ્સમાં વપરાતા પામોલીન તેલમાં પણ તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે જો વૈશ્વિક પરિસ્થિતિ વહેલી તકે થાળે નહીં પડે, તો આગામી દિવસોમાં તેલના ડબ્બાના ભાવ હજુ પણ વધુ ઊંચા જઈ શકે છે.
કપાસિયા અને પામોલીન તેલ પણ મોંઘા દાટ: જુઓ આજનો નવો ભાવ પત્રક
રાજકોટ તેલ બજારમાંથી મળી રહેલી વિગતો અનુસાર, સિંગતેલની સાથે અન્ય ખાદ્યતેલોમાં પણ સમાંતર વધારો નોંધાઈ રહ્યો છે, જે નીચે મુજબ છે:
સિંગતેલ (Groundnut Oil): આજે રૂ. 10ના વધારા સાથે નવો ભાવ રૂ. 2800 પર પહોંચ્યો.
કપાસિયા તેલ (Cottonseed Oil): સતત વધતા ભાવ વચ્ચે ડબ્બાની કિંમત રૂ. 2660 સુધી પહોંચી ગઈ છે.
પામોલીન તેલ (Palmolein Oil): આયાત પ્રભાવિત થતાં પામોલીન તેલનો ડબ્બો પણ મોંઘો થઈને રૂ. 2415 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: AMC ની મોટી કવાયત: અમદાવાદમાં મેટ્રો મુસાફરો માટે મોટી રાહત, મળશે ફ્રી પાર્કિંગ સુવિધા
હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માં તણાવ ભાવવધારાનું મુખ્ય કારણ
સ્થાનિક તેલ બજારના અગ્રણી વેપારીઓનું માનવું છે કે આ આકરા ભાવવધારા પાછળ સ્થાનિક કરતાં વૈશ્વિક પરિબળો વધુ જવાબદાર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને 'હોર્મુઝની ખાડી' (Strait of Hormuz) વિસ્તારમાં સૈન્ય ગતિવિધિઓ અને તણાવ વધવાને કારણે દરિયાઈ માર્ગો દ્વારા થતો વેપાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. આ માર્ગો પરથી માલવાહક જહાજોની અવરજવરમાં મોટી અડચણો ઊભી થતાં આયાતી કાચા માલ (Crude Oil અને અન્ય ખાદ્યતેલના રો-મટીરિયલ) ની સપ્લાય ખોરવાઈ ગઈ છે. કાચા માલની આ આંતરરાષ્ટ્રીય અછતની સીધી અને નકારાત્મક અસર હવે ભારતના સ્થાનિક બજારો પર દેખાઈ રહી છે.
બફર સ્ટોક ઘટતાં સ્વદેશી તેલના ભાવ વધારવા વેપારીઓ મજબૂર
અત્યાર સુધી ભારતમાં ખાદ્યતેલનો પૂરતો બફર સ્ટોક (જથ્થો) ઉપલબ્ધ હોવાને કારણે સ્થાનિક બજારોમાં કિંમતો નિયંત્રણમાં રહી હતી અને ગ્રાહકોને રાહત હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય સપ્લાય બંધ અથવા ધીમી પડી જવાને કારણે જૂનો સ્ટોક હવે ધીમે-ધીમે ખાલી થઈ રહ્યો છે. આયાત પર વધતી પ્રતિકૂળ અસરોને પગલે ડિમાન્ડ પૂરી કરવા માટે હવે સિંગતેલ અને કપાસિયા જેવા સ્વદેશી ખાદ્યતેલો પર ભારણ વધ્યું છે, જેના કારણે સ્થાનિક મિલો અને વેપારીઓ માટે ભાવવધારો કરવો અનિવાર્ય બન્યો છે. વેપારી આલમમાં એવી પણ ચર્ચા છે કે જો આગામી બે-ત્રણ અઠવાડિયામાં વૈશ્વિક રાજકીય સ્થિતિ અને દરિયાઈ માર્ગો સુરક્ષિત નહીં થાય, તો આગામી લગ્નસરા અને તહેવારોની સીઝન પૂર્વે જ સામાન્ય જનતાએ ખાદ્યતેલ ખરીદવા માટે હજુ વધુ ખિસ્સા હળવા કરવા પડી શકે છે.





