પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. લશ્કર-એ-તૈયબા અને TRF સાથે સંકળાયેલા હાશિમ મુસાને મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે. ISI સાથે મળીને રચાયેલા આ કાવતરામાં પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા ભયાનક આતંકવાદી હુમલાની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીઓએ હુમલાના માસ્ટરમાઇન્ડની ઓળખ કરી લીધી છે. આ આતંકવાદી પાકિસ્તાનમાં સક્રિય લશ્કર-એ-તૈયબા અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સાથે સંકળાયેલો કુખ્યાત આતંકવાદી હાશિમ મુસા છે. 26 નિર્દોષ લોકોને ઠાર કરનારા ચાર આતંકવાદીઓમાં હાશિમ મુસા પણ સામેલ હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલાનું સમગ્ર ષડયંત્ર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના નિર્દેશ પર ઘડવામાં આવ્યું હતું. આ કાવતરામાં આઈએસઆઈના ઈન્ડિયા ડેસ્ક ચીફ બ્રિગેડિયર ખાલિદ શહજાદ અને આઈએસઆઈ ચીફ અસીમ મલિક તેમજ પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સામેલ હતા.
ભારતની શાંતિ અને કોમી એકતા ડહોળવાનું ષડયંત્ર
પહેલગામ હુમલો ફરી એકવાર સાબિત કરે છે કે પાકિસ્તાનની ધરતી પરથી કાર્યરત આતંકવાદી સંગઠનો ભારતની શાંતિ અને સ્થિરતાને ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે અને લોકો પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં જમ્મુ-કાશ્મીરના લોકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
ભારતીય સેના હાઈ એલર્ટ પર
પહેલગામ હુમલા બાદ ભારતની ત્રણેય સેના સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. જમ્મુ-કાશ્મીરના ખૂણે-ખૂણે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ અને સુરક્ષા દળો દ્વારા પહેલગામ અને તેની આસપાસના વિસ્તારોમાંથી લગભગ 1500 લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી છે. હજુ પણ ઘણા લોકોની પૂછપરછ ચાલી રહી છે.






