“જય જય જગન્નાથ”, “હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’” નાં ભક્તોનાં નાદ વચ્ચે ભગવાન જગન્નાથજી, ભાઇ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની પરંપરાગત નગરચર્યાએ નિજ મંદિરેથી નિકળ્યાં છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભાવિક ભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થઈ ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યાં છે. આ બધાની વચ્ચે શહેરના સરસપુર અને દરિયાપુરમાં વરસાદી માહોલ વચ્ચે રથયાત્રા પર અમી છાંટણા થયા હતા.
સરસપુર અને દરિયાપુરમાં અમી છાંટણા
ભગવાન મોસાળ સરસપુર પહોંચતા સામાન્ય વરસાદની શરૂઆત થઈ હતી. જો કે, અમી છાંટણા થયા બાદ વરસાદે વિરામ પણ લઈ લીધો હતો. આ વખતે રથયાત્રામાં અનેકવિધ શણગારો જોવા મળ્યા છે. ગજરાજ, ઓપરેશન સિંદૂર સહિત લોકજાગૃત્તિ દર્શાવતા ટેબ્લો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ભગવાનના મોસાળમાં ભક્તોનો જમણવાર!
ભગવાન જગન્નાથજી મોસળ પહોંચતા સરસપુરના ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયાં હતા અને ભગવાન જગન્નાથજીનાં દર્શનનો લાભ લીધો હતો. ભગવાન જગન્નાથના મોસાળમાં ભક્તોનો જમણવારનું આયોજન કરાયું હતું. સરસપુરની દરેક શેરીઓમાં પુરી-શાક, મોહનથાળ અને ફૂલવળીની પ્રસાદીની ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે રથયાત્રા યોજાઈ રહી છે. આ વર્ષે રથયાત્રામાં 2500થી વધુ સાધુ-સંતો પણ જોડાયા છે.

_ccdd3571-4680-4fd8-b2b6-2aef907cd434.jpg)


















