આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિલ્લીની મુલાકાત લીધી. તેમને આ મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે. કારણ કે આ મુલાકાત ગુજરાતની કાયદો અને વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના સિલસિલામાં કરવામાં આવી છે. બંને નેતાઓએ આજે દેશના ગૃહમંત્રી અમીત શાહની આગેવાનીમાં એક બેઠક થઈ તેમાં ભાગ લીધો અને ગુજરાતમાં આગામી સમયમાં જે કાયદાઓ લાગૂ કરવામાં આવનાર છે તેની સમીક્ષા કરી.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે આ સમીક્ષા બેઠકની ચર્ચાઓમાં સ્પષ્ટપણે કહ્યું કે, ત્રણ નવા ફોજદારી કાયદાઓમાં કોઈપણ કેસમાં એફ.આઈ.આર.થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ત્રણ વર્ષમાં ન્યાય અપાવવાની જોગવાઈઓ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં લાવવામાં આવેલા આ ત્રણ નવા કાયદાઓનો આત્મા છે. તેમણે કહ્યું કે, આ સંદર્ભમાં મુખ્યમંત્રી દ્વારા દર મહિને, ગૃહ રાજ્ય મંત્રી દ્વારા દર પંદર દિવસે તથા મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સ્તરે સાપ્તાહિક સમીક્ષા થાય તે જરૂરી છે.
અમિત શાહે ગુજરાતમાં ઝીરો એફ.આઈ.આર.ને ૧૦૦ ટકા એફ.આઈ.આર.માં બદલવાના કાર્યની સરાહના કરતાં કહ્યુ કે, એવી વ્યવસ્થા ઉભી થવી જોઈએ જેમાં ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ(CCTNS) દ્વારા બે રાજ્યો વચ્ચે એફ.આઈ.આર. ટ્રાન્સફર થઈ શકે. તેમણે ગુજરાત CCTNS 2.0 અપનાવે તેવી પણ હિમાયત કરી હતી.કેન્દ્રીય ગૃહમંત્રી એ નવા ફોજદારી કાયદાઓમા ઈલેક્ટ્રોનિક્સ એવિડન્સની જોગવાઈઓના ઉચિત અમલીકરણ માટે ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગ સંકલન બેઠકો યોજીને પોસ્ટમોર્ટમ રિપોર્ટસ સહિત અન્ય મેડિકલ રિપોર્ટસ ઈલેક્ટ્રોનિક્સ સ્વરૂપે મળે તેના પર વિશેષ ભાર મુક્યો હતો. અમિતભાઈ શાહે જેલ, સરકારી હોસ્પિટલો, બેન્ક, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વગેરેમાં પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એવિડન્સ દાખલ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ એમ જણાવતા ઉમેર્યુ કે, રાજ્યની જેલોમાં દરેક ન્યાયાલય માટે એક વિડિયો કોન્ફરન્સિંગ ક્યુબિકલ હોવું જોઈએ.
કેન્દ્રીય ગૃહ મંત્રી એ આ બેઠકમાં જણાવ્યું હતું કે, પોલીસે પૂછપરછ માટે અટકાયતમાં લીધેલા લોકો, જાપ્તા યાદી અને કોર્ટમાં મોકલવામાં આવેલા કેસો સહિતની માહિતી ઇલેક્ટ્રોનિક ડેશબોર્ડ પર પૂરી પાડવી જોઈએ. તેમણે રાજ્યના પોલીસ મહાનિદેશકને આવા કેસોનું સતત મોનિટરીંગ કરવા સૂચન ઉપરાંત પોલીસ સ્ટેશનોમાં નેટવર્ક કનેક્ટિવિટી સ્પીડ નિર્ધારિત ધારાધોરણો કરતાં વધુ રાખવા પણ સૂચવ્યુ હતું.કેન્દ્રીય ગૃહ મંત્રી એ કહ્યું કે, સંગઠિત ગુનાખોરી, આતંકવાદ અને મોબ લિંચિંગની જોગવાઈઓનો દુરુપયોગ ન થાય તેની ખાતરી કરી શકાય તે માટે રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કરવો જોઈએ. ગૃહમંત્રી શાહે દરેક જિલ્લામાં બે થી વધુ ફોરેન્સિક સાયન્સ મોબાઇલ વાન ઉપલબ્ધ કરાવવા પર આ બેઠકમાં ભાર મૂક્યો હતો. તેમણે આવી મોબાઇલ ફોરેન્સિક વાનમાં વપરાતી તમામ ૧૨ કિટ્સ ભારતમાં જ બનેલી હોય તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યુ હતુ.
ગુજરાત દ્વારા “ફોરેન્સિક ક્રાઈમ મેનેજર”ની નિમણુંક માટે કરાયેલી પહેલની સરાહના કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રી એ ઉમેર્યુ કે, આ પહેલને અન્ય રાજ્યોએ પણ અપનાવવી જોઈએ. આ ઉપરાંત, પેન્ડિંગ ફોરેન્સિક કેસોના નિકાલ માટે ઝુંબેશ ચલાવીને તેના ઉકેલ લાવવા અને ફોરેન્સિક વિભાગમાં ખાલી જગ્યાઓ પર વહેલી તકે ભરતી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે તમામ નીચલી અદાલતોને ઈ-પ્રોસેસથી કામગીરી કરવા માટે દિશાનિર્દેશો આપ્યાં છે, આ પહેલ ડિજિટલ અને પારદર્શિતા સુનિશ્ચિત કરતી સારી પહેલ છે તેમ જણાવી અન્ય રાજ્યોને પણ આ માટે પ્રયાસો કરવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રી ના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ગૃહ વિભાગના અને મુખ્યમંત્રી ના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, નેશલન ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના મહાનિદેશક અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તથા રાજ્ય સરકારના ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
મહત્વનું છે કે, ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અનેક નવા કાયદાઓ લાવી છે. તેમજ જૂના કાયદામાં સુધારાઓ લાવવામાં આવ્યા છે. ખાસ કરીને અંધશ્રદ્ધા વિરોધી કાયદો, લેન્ડ ગ્રેબિંગ માટેનો કાયદો કડકાઈથી અમલમાં મુકવામાં આવ્યો છે. શાંત ગણાતા ગુજરાતને વધુ સુરક્ષિત બનાવવાની પહેલ સરકાર કરી રહી છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






