ગુજરાત બન્યું મેદસ્વિતા વિરૂદ્ધ અભિયાન શરૂ કરનારું દેશનું પ્રથમ રાજ્ય
ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને સ્વસ્થ અને ફિટ રાખવાના ઉદ્દેશ્ય સાથે "સ્વસ્થ ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત" અભિયાનની શરૂઆત કરી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી કે ગુજરાત મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું દેશનું પ્રથમ રાજ્ય છે.
મેદસ્વિતા વિરૂદ્ધ રાષ્ટ્રવ્યાપી પહેલ:
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, "વર્તમાન સમયમાં દેશભરમાં ઓબેસિટી (મેદસ્વિતા) એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઓબેસિટી મુક્તિ' માટે રાષ્ટ્રવ્યાપી પહેલ શરૂ કરી છે, જે ગુજરાત માટે માર્ગદર્શક બનશે." તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વિધાનસભા ગૃહમાં 'સ્વાસ્થ્ય ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત' અભિયાન અંગે સંકલ્પ વ્યક્ત કર્યો છે.
અભિયાનની વ્યૂહરચના:
- એપ્લિકેશન લોન્ચ થશે: રાજ્ય સરકાર એક વિશેષ એપ્લિકેશન લોન્ચ કરશે, જેમાં નાગરિકો રજીસ્ટ્રેશન કરીને પોતાનું વજન, ઊંચાઈ અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી ઉમેરશે. એપ્લિકેશન તેમના શરીરને અનુકૂળ સલાહ આપશે.
- શાળા અને કોલેજોમાં સ્પર્ધાઓ: રાજ્યભરના શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ફિટનેસ અને મેદસ્વિતા નિયંત્રણને લગતી સ્પર્ધાઓ યોજાશે.
- સરકારી કર્મચારીઓ માટે હેલ્થ ચેલેન્જ: ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કાર્યરત કર્મચારીઓ માટે હેલ્થ ચેલેન્જ યોજાશે, જેમાં તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન મળશે.
- જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ: આ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાએ વિવિધ તંદુરસ્ત જીવનશૈલી અને વજન નિયંત્રણના કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે.
ઇનામ અને પ્રોત્સાહન:
અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ, યુવાનો અને સરકારી કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા વિશેષ ઇનામો આપવામાં આવશે. વર્ષભર વિવિધ કાર્યક્રમો આયોજિત કરી, સરકારી કાર્યક્રમોમાં પણ આ અભિયાનને જોડવામાં આવશે.
ગુજરાત સરકારનો લક્ષ્યાંક:
ગુજરાત સરકારનો લક્ષ્ય છે કે આ અભિયાન અંતર્ગત રાજ્યના દરેક નાગરિક સુધી મેદસ્વિતા નિયંત્રણ અને તંદુરસ્ત જીવનશૈલીનું મહત્ત્વ પહોંચાડવું. રાજ્ય સરકારની આ પહેલ સમગ્ર દેશમાં એક ઉદાહરણરૂપ સાબિત થશે.




















