ગાંધીનગરમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારેએ રાજ્યના બજેટ 2026-27 અંગે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યના અંદાજે 75 લાખ NFSA પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પાડવા માટે ₹700.63 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
નાગરિકોને પોષણક્ષમ અને સમતોલ આહાર મળી રહે તે માટે NFSA કાર્ડધારકોને રાહત દરે તુવેર દાળ અને ચણા આપવા ₹841.69 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2025-26 દરમિયાન અગાઉના વર્ષની સરખામણીએ કઠોળના વિતરણમાં 28,491 મેટ્રિક ટનનો વધારો નોંધાયો હોવાનું તેમણે જણાવ્યું.
પોષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્યના 75 લાખ પરિવારોને રૂ.1 પ્રતિ કિલોના દરે ડબલ ફોર્ટિફાઈડ મીઠું આપવા માટે ₹59.49 કરોડ ફાળવવામાં આવ્યા છે.
ટેક્નોલોજી આધારિત પારદર્શિતા વધારવા માટે ગુજરાતે દેશમાં પ્રથમવાર CBDC આધારિત ડિજિટલ ફૂડ કૂપનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ સિસ્ટમ e-KYC આધારિત હોવાથી બાયોમેટ્રિક નિષ્ફળતા જેવી સમસ્યાઓ દૂર થશે. અત્યાર સુધીમાં રાજ્યના 4.23 કરોડ રેશનકાર્ડ સભ્યોનું e-KYC પૂર્ણ થયું છે.
ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે સરકાર લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. વર્ષ 2025-26માં 40,396 ખેડૂતો પાસેથી ધાન્ય ખરીદી કરી ₹474.94 કરોડનું સીધું ચુકવણું બેંક ખાતામાં કરવામાં આવ્યું છે. સાથે જ બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી પર ₹300 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવા માટે ₹36.51 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
જાહેર વિતરણ વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવનારા 17 હજારથી વધુ વાજબી ભાવના દુકાનદારોના કમિશનમાં વધારો કરીને હવે ₹150ના બદલે ₹185 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ‘Grain ATM’ યોજના શરૂ કરવામાં આવશે, જેમાં લાભાર્થી માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજ મેળવી શકશે. કલોલ ખાતે આ યોજના શરૂ થવાની શક્યતા છે.
ગ્રાહક સુરક્ષા માટે દરેક જિલ્લામાં પ્રિ-લિટિગેશન અને સમાધાન કેન્દ્રો શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.




















