કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 5 થી 7 ડિસેમ્બર દરમિયાન 3 દિવસ માટે અમદાવાદની મુલાકાતે આવશે. તેમના આ પ્રવાસ દરમિયાન શહેર અને ગાંધીનગરમાં અનેક મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાશે. શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓને વધુ મજબૂત કરવાની દિશામાં આ મુલાકાતને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
અમિત શાહ અમદાવાદ શહેરમાં કુલ ₹618.27 કરોડના 15 વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેમાં વસ્ત્રાપુર તળાવનો વિકાસ, બોપલમાં આવેલ ઇલેક્ટ્રોથર્મ ગાર્ડન, મેમનગર પાર્ટી પ્લોટ જેવા મોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ કામો પૂર્ણ થવાથી શહેરના નાગરિકોને વધુ સુવિધા અને સારી જાહેર જગ્યા ઉપલબ્ધ થશે.
તે ઉપરાંત, આ પ્રવાસ દરમિયાન બે આવાસ યોજનાઓના મકાનોના ડ્રો પણ અમિત શાહના હસ્તે યોજાશે. આ યોજનાઓ હેઠળ રહેણાક માટે રાહ જોતા અનેક લાભાર્થીઓને રાહત મળશે.
અમિત શાહ તેમના મતવિસ્તાર ગાંધીનગરમાં પણ મોટાપાયે વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. કુલ ₹2395.77 કરોડના 68 કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમો તેમના દ્વારા કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સથી પ્રદેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો થશે એવી શક્યતા છે.





















